![]()
– રેડ કોર્નર નોટિસના આધારે યુએઈમાં ધરપકડ
– બીજો ગુનેગાર આલોકકુમાર બનાવટી પાસપોર્ટના કૌભાંડમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો
નવી દિલ્હી : ભારતમાં આર્થિક ગુના કરીને વિદેશમાં ભાગી જનારા અપરાધીઓ હવે વિદેશમાં પણ લહેર નહી કરી શકે. ભારત સરકાર આવા ગુનેગારોને વિદેશમાંથી પણ પકડી શકે છે. સીબીઆઈએ આવા બે રેડ કોર્નર નોટિસવાળા ગુનેગાર કમલેશ પારેખ અને આલોક કુમાર બંનેને વિદેશમાંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તેમની આ કાર્યવાહી ફ્રોડ કરી વિદેશ ભાગી જતાં ગુનેગારો માટે મોટી ચેતવણી છે.
સીબીઆઈએ રેડ કોર્નર અપરાધી કમલેશ પારેખને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈએ વિદેશ અને ગૃહમંત્રાલ સાથે મળીને આ કાર્યવાહી પૂરી કરવામાં સફળ રહ્યુ છે. કમલેશ પારેખ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના જૂથ (કોન્સોર્ટિયમ) સાથે ૨,૬૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કમલેશ પારેખને પહેલી મેના રોજ ભારત પરત લવાયો.
કમલેશ પારેખ કંપનીનો પ્રમોટર અને ડાયરેક્ટર હતો. સીબીઆઈના જણાવ્યા મુજબ તેણે બીજા ડાયરેક્ટરો સાથે મળીને એક મોટું કાવતરું રચીને આ છેતરપિંડી આચરી હતી.
પારેખ સહિત અન્ય લોકોએ બેન્કો પાસેથી લીધેલા ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો. પારેખે યુએઈ સહિત વિદેશોમાં ફેલાયેલી પોતાની કંપનીઓના નેટવર્ક દ્વારા બેન્કોના રૂપિયા જુદી-જુદી રીતે ટ્રાન્સફર કર્યા. તેના પછી તે બેન્કોના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયા હતો, પરંતુ હવે તે કાયદાના સકંજામાં છે.
પારેખ પર છેતરપિંડીથી નાણાકીય લેવડદેવડમાં હેરેફેરી કરવાનો અને બેન્કિંગ માધ્યમોનો ખોટો ઉપયોગ કરીને બેન્કોને ભારે નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આના પગલે સ્ટેટ બેન્કે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી. આ નોટિસના આધારે તેનું લોકેશન યુએઈમાં ટ્રેક કરવામાં આવ્યું. ભારત સરકારની વિનંતીના પગલે યુએઈના અધિકારીઓએ તેની ધરપકડ કરી.
આ ઉપરાંત આલોકકુમાર યશપાલસિંઘ તરીકે જાણીતો છે. પાસપોર્ટ ફ્રોડ નેટવર્કમાં સંડોવણી બદલ તે વોન્ટેડ હતો. હરિયાણા પોલીસ દ્વારા તે વોન્ટેડ હતો. તેના પરના આરોપોમાં છેતરપિંડી, બનાવટ અને કાવતરાનો સમાવેશ થાય છે. તે બનાવટી દસ્તાવેજો બનાવી આપીને ભારતીય પાસપોર્ટ મેળવવામાં મદદરૂપ થનારી ગેંગનો હિસ્સો હતો.










