![]()
Vatva 34-year-old Murder Case Updates: અમદાવાદ શહેરના વટવાના કુતુબનગર વિસ્તારમાં એક સનસનાટીભર્યા 34 વર્ષ જૂના મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે તપાસ કરતાં કુતુબનગરના પ્લોટ નંબર 10ના એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળ્યું હતું. જે મૃતક મહિલા ફરજાનાનું હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે માનવ કંકાલ ફરજાનાનું જ છે કે કેમ તે સાબિત કરવા માટે DNAનો સહારો લીધો હતો. જ્યારે આજે(8 મે) મૃતક મહિલાના DNA સેમ્પલ તેના જીવિત ભાઈના DNA સાથે સરખાવતા રિપોર્ટ પોઝિટિવ મેચ થયો છે. આમ, 1992 વટવા હત્યા કેસ મામલે પોલીસે વિધિવત રીતે FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વટવાના 34 વર્ષ જૂના મર્ડર કેસમાં મૃતક ફરજાનાના DNA સેમ્પલ તેના ભાઈના DNA સાથે મેચ થયા છે. પોલીસની માહિતી અનુસાર, સમગ્ર કાવતરામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓમાંથી બે, સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું કુદરતી મૃત્યુ થયું છે, જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ હાલ જીવિત છે. જ્યારે હવે FSL અને DNA રિપોર્ટ મેચ થયા છે, ત્યારે પોલીસે વિધિવત ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની અને આરોપીને કોર્ટમાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની હતી. 1992ની સાલમાં જ્યારે તેની ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ તે એક વર્ષની અંદર પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારના લોકો માટે તેની આ જીવનશૈલીથી આબરૂને નુકસાન થતું હોવાથી, તેમને ફરજાના ક્યાં છે અને શું કરે છે તેમાં કોઈ જ રસ નહોતો અને તેમણે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં નોંધ કરાવી નહોતી. ફરજાના અમદાવાદ આવ્યા બાદ તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ ફરજાનાએ તેની લગ્ન પહેલાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી.
ગળું દબાવી હત્યા કરી, બાદમાં ખાડામાં દફનાવી દીધી
ફરજાનાની આ બાબતોથી કંટાળીને સમસુદ્દીનની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તેણે પોતાના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને અન્ય લોકો સાથે મળીને ફરજાનાની હત્યાનું કાવતરું ઘડ્યું. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર નાણાકીય ઉપકાર હતો, તેથી સમસુદ્દીન અને ફરજાના સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ ઘરમાં ખાળકુવા માટે ખાડો ખોદાવીને તૈયાર રાખ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે બાકીના લોકોએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને તે ખાડામાં તેને દફનાવી દીધી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે અબ્દુલ કરીમે ત્યાં પ્લાસ્ટર પણ કરાવી દીધું હતું.
આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર
20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યા
આ બધી પ્રાથમિક માહિતીની ખરાઈ કર્યા પછી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL તેમજ મેડિકલ એક્સપર્ટની હાજરીમાં તે મકાનમાં ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન અમને 20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યો હતો, જેને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. આ કંકાલ ફરજાનાના જ છે કે કેમ તે નક્કી કરવા માટે તેના DNA લઈને તેના જીવિત ભાઈના DNA સાથે સરખામણી કરવામાં આવી હતી. જેમાં DNA રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










