![]()
Ahmedabad Crime News : અમદાવાદના સનાથલ ગામમાં રવિવારે રાત્રિના સમયે એક હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઉભી થયેલી અદાવતમાં એક 31 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, સનાથલ ગામના મોટુ ફળિયામાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ભરતસિંહ ચૌહાણ (ઉ.વ. 31) ગત 10 મેના રોજ બપોરે સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં તેમણે આરોપી ચેહર બાબુભાઈ ઠાકોરને પોતાની દૂર પડેલી ગાડી સુધી મૂકી જવા વિનંતી કરી હતી, પરંતુ ચેહરે ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને જ્યારે તેઓ પરત સનાથલ આવ્યા, ત્યારે રાત્રે આશરે 8 વાગ્યે આરોપીના ઘરે ફરીથી ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા ચેહર ઠાકોરે દેવેન્દ્રસિંહ પર છરી વડે ઘા ઝીંકી દેતા તેમનું મોત નીપજ્યું હતું. ચાંગોદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી ચેહર સહિત બે શખ્સોને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ગામમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ તણાવ ન સર્જાય. સામાન્ય બાબતમાં શરૂ થયેલો વિવાદ એક યુવાનના જીવલેણ અંજામ સુધી પહોંચતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.










