Gujarat Accidental Deaths Rise by 4%: 30 વર્ષીય યુવક મિત્ર સાથે વાતો કરતાં કરતાં જ ઢળી પડ્યો અને ગણતરીની સેકન્ડમાં પ્રાણપંખેરુ ઊડી ગયું, ક્રિકેટ રમતાં રમતાં યુવા ક્રિકેટરનું મેદાન પર જ મૃત્યુ થયું, એક યુવતી ગરબે ઘૂમી રહી હતી ને અચાનક જ બેહોશ થઈ ગઈ અને મોતને ભેટી. આવા ઘણાં કિસ્સા બની રહ્યા છે. ગુજરાતમાં ઓચિંતા મોતના કિસ્સામાં વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 3 હજારથી વધુ લોકોનું ઓચિંતું મૃત્યુ થયું છે જ્યારે આકસ્મિક મોતનો આંકડો પણ વધ્યો છે. રાજ્યમાં 23 હજારથી વધુ લોકોના આકસ્મિક મોત થયા છે.
ગુજરાતમાં આકસ્મિક મૃત્યુના આંકડામાં 4%નો વધારો
ગુજરાતમાં વર્ષ 2023માં 23015 લોકોના આકસ્મિક મૃત્યુ થયા હતા જ્યારે વર્ષ 2024માં આકસ્મિક મૃત્યુનો આંક વધીને 23934 સુધી પહોંચ્યો હતો. એટલે 4 ટકાનો વધારો થયો હતો. આકસ્મિક મૃત્યુ દર 5.1 ટકા રહ્યો છે. પૂર સહિત કુદરતી આફતોને લીધે 144 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રોડ અકસ્માતે લીધો સૌથી વધુ 7717 લોકોનો ભોગ
રોડ અકસ્માતને લીધે સૌથી વધુ 7717 લોકોએ જાન ગુમાવ્યા છે જ્યારે હાર્ટ એટેકથી 3253 જણાના મૃત્યુ થયા છે. તળાવ, ઘોધ, નદી સહિત સરોવરમાં ડૂબી જતાં કુલ મળીને 1999 લોકોએ જિંદગી ગુમાવવી પડી છે. 3336 લોકોનું ઓચિંતું મૃત્યુ થયું છે.
રાજ્યમાં 574 સ્ત્રી-પુરુષોના રહસ્યમય મૃત્યુથી ચિંતા
ચોંકાવનારી વાત તો એ છે કે, 574 સ્ત્રી-પુરૂષોનું મૃત્યુ રહસ્યમય બની રહ્યું છે કેમકે, કેવી રીતે મૃત્યુ થયું તેનું કારણ જાણવા મળી શક્યું નથી. કારણ વિનાનું મૃત્યુ પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. રેલ્વે ટ્રેક પર અને ક્રોસિંગ કરતાં કુલ 870 લોકોનું મોત થયું છે.
આ પણ વાંચો: PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે
કુદરતી અને માનવસર્જિત દુર્ઘટનાઓમાં અનેક પરિવારોએ સ્વજન ગુમાવ્યા
રાજ્યમાં વિજકરંટે પણ 982નો ભોગ લીધો હતો. સાપ કરડતાં 240 લોકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિ પરિણમી છે જેના લીધે પૂરમાં તણાઈ જવાથી 39 લોકોના મૃત્યુ થયા હતા. મકાન અને બ્રિજ અચાનક ધરાશાયી થતાં 118ના મોત થયા હતા. અતિશય ઠંડીને લીધે પણ 18 જણાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે હીટસ્ટ્રોકથી 15ના મૃત્યુ થયા હતા.











