![]()
Delhi Government Work From Home Policy: વધતાં જતાં ઇંધણના વપરાશને ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ (WFH) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારી કચેરીઓ માટે નવા નિયમો
સરકારી સ્તરે અઠવાડિયામાં બે દિવસ 100 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. જોકે, ઈમરજન્સી અને આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હી સરકારની ઑફિસો હવે સવારે 10થી સાંજના 7.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે નિગમની ઑફિસો સવારે 8.30થી સાંજના 5.30 સુધી ચાલશે. દર સોમવારે મંત્રીઓ અને અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, અધિકારીઓના પેટ્રોલ ક્વોટામાં 20 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.
કર્મચારીઓ માટે પ્રોત્સાહન અને સુવિધાઓ
સરકારે જાહેરાત કરી છે કે, ગ્રેડ 1થી 8ના કર્મચારીઓ જો તેમના એલાઉન્સનો 25 ટકા હિસ્સો જાહેર પરિવહન પાછળ ખર્ચશે, તો તેમને 10 ટકા વધારાનું એલાઉન્સ આપવામાં આવશે. સાથે જ, કર્મચારીઓને ઘરથી મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડવા માટે 29 કોલોનીઓમાં 58 સ્પેશિયલ બસો દોડાવવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વાવટા બતાવ્યા
ખર્ચમાં કાપ અને અન્ય મહત્ત્વના નિર્ણયો
આગામી એક વર્ષ સુધી કોઈ પણ મંત્રી કે અધિકારી વિદેશ પ્રવાસે જશે નહીં. સરકાર આગામી 6 મહિના સુધી કોઈ પણ નવા વાહનની ખરીદી કરશે નહીં. યુનિવર્સિટીઓ, કૉલેજો અને કોર્ટને પણ વધુમાં વધુ કામગીરી ઓનલાઇન મોડમાં કરવા વિનંતી કરવામાં આવી છે. તમામ ઑફિસોમાં એસી (AC)નું તાપમાન 24થી 26 ડિગ્રી રાખવામાં આવશે અને વીજળી બચાવવા માટે સેન્સર બેઝ્ડ સ્વિચ લગાવવામાં આવશે.
જનતાને અપીલ
મુખ્યમંત્રીએ દિલ્હીની જનતાને ‘નો વ્હીકલ ડે’ ઉજવવા અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા વિનંતી કરી છે. આગામી 90 દિવસ સુધી દિલ્હીમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં લોકોને ઇંધણ બચાવવા માટે શપથ લેવડાવવામાં આવશે.










