જૂનાગઢ, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સાસણ ગીર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-સમિટમાં સહભાગી થયા બાદ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ મુસાફરો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
રાજ્યમંત્રી માળીએ બસ સ્ટેન્ડ ખાતે સ્ટોલ ધારકો અને દુકાનદારો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. સાથે જ તેમણે યાત્રિકોને ઉનાળાની ભારે ગરમીથી બચવા સતત હાઈડ્રેટ રહેવા અને ઓઆરએસનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પ્રતિકાત્મક રૂપે તેમણે શરબત વિતરણ કેન્દ્ર પરથી મુસાફરોને શરબતનું વિતરણ પણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર તથા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમંત્રીનું એસ.ટી. વિભાગના યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી ડી. વાઘેલા, ડેપો મેનેજર એ.પી. કરમટા તેમજ એસ.ટી. કર્મચારી મંડળ અને મજદૂર સંઘના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું.










