ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી બાયોગેસ પ્લાન્ટ યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. યોજનાનો હેતુ આદિવાસી પરિવારોને LPG સિલિન્ડર અને લાકડાના પરંપરાગત ઇંધણ પરથી મુક્ત કરી સ્વચ્છ અને સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા યોજનાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું કે, “હવે અમને ગેસ સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટથી રોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને તેની સ્લરી ખેતી માટે ઉત્તમ ખાતર બની છે.”
સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું કે મહિલાઓને આ યોજનાથી સૌથી વધુ ફાયદો થયો છે. પહેલાં મહિલાઓને લાકડાં ભેગા કરવા લાંબા અંતરે જવું પડતું હતું અને ચૂલાના ધુમાડાથી તકલીફ થતી હતી. હવે બાયોગેસના ઉપયોગથી ધુમાડામુક્ત રસોઈ શક્ય બની છે.
રાજ્ય સરકાર દ્વારા પ્લાન્ટ સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓ માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વૈકલ્પિક ઊર્જા અને આત્મનિર્ભરતા માટેના પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું છે.








