![]()
Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારની પાર્ટી (NCP)ના 22 જેટલા નારાજ ધારાસભ્યોએ શરદ પવાર સાથે મુલાકાત કરી હોવાના અહેવાલોથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાક્રમ વચ્ચે શરદ પવારની આગેવાનીવાળી NCPSP અને અજિત પવારની NCP વચ્ચે ફરી વિલય (મર્જર) થવાની અટકળો પણ તેજ થઈ છે.
નેતાઓ નારાજ, શરદ પવાર મૌન
બંને પક્ષો ભેગા થવાની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે, અજિત પવારની NCP સાથે કોઈ પ્રકારનો વિલય નહીં થાય. જો કે, આ સમગ્ર મામલે ખુદ શરદ પવારે મૌન સાધી લીધું છે, જેને કારણે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યોમાં પણ મૂંઝવણ છે કે આખરે પડદા પાછળ શું રમત રમાઈ રહી છે અને વરિષ્ઠ નેતા આ મુદ્દે ખુલીને કેમ નથી બોલતા?
આ પણ વાંચો : ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ
સુપ્રિયા સુલે અને જયંત પાટીલે અટકળો નકારી
10 જૂને યોજાનારા પાર્ટીના સ્થાપના દિવસ પહેલા આ હાઈપ્રોફાઈલ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે રણનીતિ ઘડાઈ હતી. બીજી તરફ, અજિત પવારના જૂથમાં અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે, જેનો ફાયદો ઉઠાવવા શરદ પવારની કોર ટીમ સક્રિય થઈ છે. સુપ્રિયા સુલે અને જયંત પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અજિત પવાર સાથે ફરી હાથ મિલાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
આગામી દિવસોમાં મોટા પક્ષપલટાના સંકેત
NCPના મર્જરની ચર્ચાઓ ત્યારે વધુ મજબૂત બની જ્યારે પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેની શરદ પવાર સાથે મુલાકાત થઈ. આ દરમિયાન અજિત પવારે ચૂંટણી પંચને મોકલેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની યાદીમાં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેને સ્થાન ન આપતાં અટકળો વધી છે. રાજકીય વિશ્લેષકોના મતે, જો અજિત પવાર જૂથના 22 ધારાસભ્યો ખરેખર નારાજ હશે, તો મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે અને આ ધારાસભ્યો ઘરવાપસી કરી શકે છે.
આ પણ વાંચો : ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર










