![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયના કેટલાક કોર્સ માટે પ્રવેશ પરીક્ષા લેવાઈ રહી છે.જોકે રાજ્ય સરકારના પોર્ટલ જીકાસ અને યુનિવર્સિટીના પોર્ટલ એમ બંને જગ્યાએ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે.
તાજેતરમાં લેવાયેલી બીબીએ પરીક્ષામાં ૨૦૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે માત્ર યુનિવર્સિટી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા હતા.આ ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ ફરી એક વખત જાહેર કર્યું છે કે, પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી પોર્ટલની સાથે જીકાસ રજિસ્ટ્રેશન પણ જરુરી છે.જે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય અને યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી હશે તે વિદ્યાર્થી પ્રવેશ માટે ગેરલાયક ઠરશે.સત્તાધીશોનું કહેવું છે કે, જે દિવસે પ્રવેશ પરીક્ષા હોય તે દિવસ સુધી રજિસ્ટ્રેશન માટે જીકાસ પોર્ટલ ખુલ્લું રહેશે.એ પછી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.
દરમિયાન યુનિવર્સિટીએ દરેક પ્રવેશ પરીક્ષા દરમિયાન પણ જીકાસ પર ફોર્મ ભરવું જરુરી હોવાનું એનાઉન્સમેન્ટ કરવાનું નક્કી કર્યું છે.જેથી વિદ્યાર્થીઓ પાસે એ દિવસે પણ જીકાસનું ફોર્મ ભરવાની તક રહે.
બીબીએના વિદ્યાર્થીઓ પરીક્ષા પછી પણ રજિસ્ટ્રેશન કરી શકશે
કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ બીબીએની પરીક્ષા આપી છે પણ જીકાસ પર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમની સંખ્યા વધારે છે.જેના કારણે રજૂઆત બાદ આવા વિદ્યાર્થીઓ જીકાસ પર પરીક્ષા પછી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.જોકે આ જ પ્રકારની છૂટ અન્ય પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને નહીંં મળે.










