![]()
RBI Draft on mobile loan Default Rule: જો તમે પણ નવી ટેક્નોલોજીના શોખીન છો અને હપ્તા (EMI) પર મોંઘો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના આ નવા નિયમો તમારા માટે જાણવા ખૂબ જ મહત્ત્વના છે. RBIએ સ્માર્ટફોન ફાઇનાન્સિંગ અને લોન રિકવરી પ્રેક્ટિસને લઈને એક નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક લોન પર મોબાઈલ ખરીદ્યા પછી તેની EMI સમયસર નહીં ચૂકવે, તો બેન્ક અથવા ફાઇનાન્સ કંપની તે ફોનને દૂર બેઠા જ ડિસેબલ (બંધ) કરી શકશે. RBIએ આ નિયમોને 1 ઓક્ટોબર, 2026થી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, બેન્કો ફોનને સંપૂર્ણ લોક કરવાની માંગ કરી રહી હતી, પરંતુ કેન્દ્રીય RBIએ ગ્રાહકોના હિતમાં ફોનને પૂરો લોક કરવાને બદલે માત્ર તેના અમુક ફીચર્સ જ ડિસેબલ કરવાની મંજૂરી આપી છે.
માત્ર લોન પર લીધેલા ફોન પર જ નિયમ લાગુ થશે
RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ નવો નિયમ માત્ર એવા જ મોબાઈલ ડિવાઇસ પર લાગુ થશે જે ખરીદવા માટે લોન લેવામાં આવી હોય. પૂરી કિંમત ચૂકવીને ખરીદેલા ફોન કે અન્ય કોઈ લોનની બાકી રકમના કિસ્સામાં કંપનીઓ ફોનના ફીચર્સ બંધ કરી શકશે નહીં. આ માટે બેન્કોએ લોન એગ્રીમેન્ટમાં ગ્રાહકને સ્પષ્ટપણે જણાવવું પડશે કે કઈ પરિસ્થિતિમાં ફોનના ફીચર્સ ડિસેબલ થઈ શકે છે. આ સાથે જ ડિફોલ્ટ થયા પછી કયા તબક્કાવાર પગલાં લેવાશે અને તેની સામે ક્યાં ફરિયાદ કરી શકાશે તેની વિગતો પણ ગ્રાહકને આપવાની રહેશે.
90 દિવસના ડિફોલ્ટ પછી જ થશે કાર્યવાહી
લોનનો હપ્તો ચૂકી જતાં જ તાત્કાલિક ફોન બંધ નહીં થાય, તેના માટે બેન્કોએ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર (SOP)નું પાલન કરવું પડશે. લોન ડિફોલ્ટના કિસ્સામાં બેન્કે 60 દિવસ સુધી રાહ જોવી પડશે. જ્યારે EMI 60 દિવસ સુધી બાકી રહેશે, ત્યારે બેન્કે ગ્રાહકને પહેલી નોટિસ આપવી પડશે અને 21 દિવસનો સમય આપવો પડશે. ત્યારબાદ બીજી નોટિસ આપીને વધુ 7 દિવસની તક આપવી પડશે. આમ, નોટિસ અને પૂરતો સમય આપ્યા વગર ફોન ડિસેબલ કરી શકાશે નહીં. જો આ બધી પ્રક્રિયા પછી પણ ગ્રાહક ચૂકવણી નહીં કરે અને ખાતું 90 દિવસ ઓવરડ્યુ થઈ જશે, ત્યારે જ ફોનના ફીચર્સ ડિસેબલ કરવામાં આવશે.
આ પણ વાંચો: ટાયર ટુ અને થ્રી શહેરોમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું
આ જરૂરી ફીચર્સ ક્યારેય બંધ નહીં થાય
RBIએ આ પ્રસ્તાવિત નિયમોમાં ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન રાખ્યું છે. ગ્રાહક ગમે તેટલો મોટો ડિફોલ્ટર હોય, તો પણ બેન્કો તેના ફોનમાં ઇન્ટરનેટ, ઇનકમિંગ કોલ્સ, ઇમરજન્સી SOS અને સરકારી કે પબ્લિક સેફ્ટી નોટિફિકેશન જેવી જરૂરી સુવિધાઓ ક્યારેય બંધ કરી શકશે નહીં. આ સિવાય, ગ્રાહક પાસે ગમે ત્યારે પ્રી-પેમેન્ટ (લોન વહેલી ચૂકવવી) કરવાનો અધિકાર રહેશે અને લોન પૂરી થતાં જ બેન્કે ફોનમાંથી ફીચર્સ લિમિટ કરતું સોફ્ટવેર તરત જ હટાવવું પડશે.
1 કલાકમાં હટાવવો પડશે પ્રતિબંધ, નહીંતર બેન્કે આપવું પડશે વળતર
જો કોઈ ગ્રાહક પોતાની બાકી નીકળતી રકમ ચૂકવી દે છે, તો બેન્કે તેના 1 કલાકની અંદર જ ફોન પરથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવા પડશે. જો બેન્ક તરફથી ભૂલથી ફોન ડિસેબલ થઈ જાય અથવા ફીચર્સ ફરી ચાલુ કરવામાં વિલંબ થાય, તો ગ્રાહકને કલાકના 250 રૂપિયા લેખે બેન્કે વળતર ચૂકવવું પડશે. આ ઉપરાંત, ડેટા પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કરાયું છે કે કોઈ પણ બેન્ક કે NBFC ગ્રાહકના મોબાઈલ ફોનમાં રહેલા પર્સનલ ડેટાને એક્સેસ, સ્ટોર કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
રિકવરી એજન્ટો માટે નિયમો થયા કડક
આ ડ્રાફ્ટમાં પહેલીવાર રિકવરી એજન્સી અને એજન્ટોને સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી તેઓ પણ નિયમોના દાયરામાં આવે. હવે રિકવરી એજન્ટોએ કામ શરૂ કરતા પહેલા ભારતીય બેન્કિંગ અને નાણાકીય સંસ્થાન (IIBF)નું સર્ટિફિકેશન લેવું ફરજિયાત રહેશે. બેન્કોએ પોતાની વેબસાઈટ, એપ અને બ્રાન્ચ પર રિકવરી એજન્સીઓનું નામ, સરનામું અને કાર્યક્ષેત્ર જાહેર કરવું પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ગ્રાહકની કોઈ ફરિયાદ બેન્કમાં પેન્ડિંગ હશે, તો તે દરમિયાન બેન્ક રિકવરીની પ્રક્રિયા શરૂ કરી શકશે નહીં.
આ પણ વાંચો: ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ
સવારે 8 પહેલા અને સાંજે 7 પછી કોલ કરવા પર પ્રતિબંધ
RBIએ રિકવરી એજન્ટોની દાદાગીરી રોકવા માટે કડક આદેશો આપ્યા છે. એજન્ટ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી ગ્રાહકોનો સંપર્ક કરી શકશે નહીં. આ સિવાય ગાળાગાળી કરવી, ધમકી આપવી, પરિવારને પરેશાન કરવો કે સોશિયલ મીડિયા પર બદનામ કરવા જેવી હરકતો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બેન્કોએ રિકવરી કોલ્સનો સમય, ફ્રીક્વન્સી અને વાતચીતનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 6 મહિના સુધી સુરક્ષિત રાખવું પડશે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો ગ્રાહકોને વળતર આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.










