![]()
Karnataka Congress Crisis 2026: વર્ષ 2028 ની વિધાનસભા ચૂંટણી પહેલાં કર્ણાટક કોંગ્રેસ સરકારમાં એક મોટા ‘રાજકીય ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસે રાહુલ ગાંધીની હાજરીમાં એક હાઈ-લેવલ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં કર્ણાટકના નેતૃત્વ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણી બાદ ડી.કે. શિવકુમારને નેતૃત્વ મુદ્દે જે આશ્વાસન અપાયું હતું, તે અંતર્ગત આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી યથાવત, કેબિનેટમાં મોટો ફેરબદલ
આ પ્રથમ ફોર્મ્યુલા હેઠળ મુખ્યમંત્રી બદલવામાં નહીં આવે, પરંતુ પ્રશાસનને મજબૂત કરવા માટે કેબિનેટમાં મોટો ફેરફાર કરાશે. નબળી કામગીરી કરનારા મંત્રીઓને હટાવીને અહિંડા (Ahinda – લઘુમતી, પછાત વર્ગ અને દલિત) સમુદાયના નેતાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. આ ફેરફારમાં ડી.કે. શિવકુમારના સમર્થકોને પણ વધુ સ્થાન આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ થશે.
સિદ્ધારમૈયાની વિદાય? ડી.કે. શિવકુમાર બનશે સીએમ!
આ સૌથી સંવેદનશીલ અને મોટો વિકલ્પ છે. 2023માં જ્યારે સરકાર બની ત્યારે અઢી-અઢી વર્ષની સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાની ચર્ચા હતી. હવે જો તે ફોર્મ્યુલા લાગુ થાય, તો સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે અને કર્ણાટકની કમાન પ્રદેશ અધ્યક્ષ અને સંકટમોચક ગણાતા ડી.કે. શિવકુમારને સોંપાઈ શકે છે.
આ પણ વાંચો : ‘તાત્કાલિક કરાર પર સહી કરો…’, ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં!
વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મલ્લિકાર્જુન ખડગે પોતે બનશે સીએમ
જો સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના જૂથો વચ્ચે કોઈ સહમતી ન સધાય અને ડેડલોક સર્જાય, તો મલ્લિકાર્જુન ખડગે પોતે સર્વસંમતિથી સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતરી શકે છે. ખડગે લાંબા સમયથી કર્ણાટકનું નેતૃત્વ કરવાની ઈચ્છા રાખે છે. જોકે, આ નિર્ણયથી દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં મોટો ફેરફાર કરવો પડશે.
રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીનું દબાણ
આ રાજકીય ગરમાવો એવા સમયે આવ્યો છે જ્યારે કર્ણાટકમાં રાજ્યસભાની ૩ બેઠકો (નામાંકનની છેલ્લી તારીખ 8 જૂન) અને વિધાન પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની પસંદગીને લઈને બંને જૂથો પોતપોતાના સમર્થકો માટે દબાણ કરી રહ્યા છે, જેથી હાઈકમાન્ડે સંતુલન જાળવવા માટે કાંટાળા માર્ગ પર ચાલવું પડશે. ડી.કે. શિવકુમારના સમર્થકો જાહેરમાં તેમને સીએમ બનાવવાની માંગ કરી ચૂક્યા છે, જ્યારે શિવકુમાર પોતે અત્યાર સુધી એમ જ કહેતા આવ્યા છે કે “સમય જ આનો જવાબ આપશે.” હવે જોવાનું એ રહેશે કે દિલ્હી દરબારમાંથી કર્ણાટક માટે શું નવો આદેશ છૂટે છે.










