![]()
મુંબઈ : દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) વ્યવસ્થાના આગમન સાથે ડેબિટ કાર્ડના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે છેલ્લા બે નાણાં વર્ષમાં ડેબિટ કાર્ડના વપરાશમાં ૪૦ ટકાથી વધુ ઘટાડો થયો છે જ્યારે યુપીઆઈ વ્યવહારમાં ૮૦ ટકાથી વધુ વધારો જોવા મળ્યો છે.
યુપીઆઈ વપરાશમાં સરળ અને ઝડપી હોવાથી બેન્ક ખાતેદારો હવે ડેબિટ કાર્ડની સરખામણીએ તેના વપરાશને પ્રાધાન્ય આપી રહ્યા છે.
રિઝર્વ બેન્કના નાણાં વર્ષ ૨૦૨૬ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ડેબિટ કાર્ડસ વ્યવહારની સંખ્યા જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨૮૬૦ લાખ હતી તે ૨૦૨૪-૨૫માં ઘટી ૧૬૧૨૦ લાખ અને ૨૦૨૫-૨૬માં ૧૨૮૦૨ લાખ પર આવી ગઈ હતી. આમ બે વર્ષમાં ડેબિટ કાર્ડ વ્યવહારમાં ૪૪ ટકા ઘટાડો નોંધાયો છે.
બીજી બાજુ આ સમયગાળામાં યુપીઆઈ મારફતના ટ્રાન્ઝકશન્સની સંખ્યા ૧૩,૧૧,૨૯૫ લાખ પરથી વધી ૨૪,૧૬,૧૬૯ લાખ પર પહોંચી ગઈ છે, જે ૮૪ ટકાનો વધારો દર્શાવે છે.
મોટાભાગના ઉપભોગતાઓ પોતાના વિવિધ બિલ્સની ચૂકવણી માટે યુપીઆઈનો જ વપરાશ કરી રહ્યા છે, જેને પરિણામે ડેબિટ કાર્ડ સ્વાઈપ અથવા ટેપ કરવાની જરૂરિયાત ઘટી ગઈ છે, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ પોઈન્ટ ઓફ સેલ ખરીદી માટે ખાસ થતો નથી. જે કંઈપણ વપરાશ થાય છે તે મોટેભાગે એટીએમમાંથી નાણાં કઢાવવા માટે વધુ થાય છે.
જો કે અનેક બેન્કો હવે કાર્ડલેસ રોકડ કઢાવવાની સુવિધા પૂરી પાડી રહી છે જેને કારણે પણ ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ઘટી ગઈ છે. જો કે જે ગ્રાહકો હજુ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાથી એકદમ જ વાકેફ થયા નથી તેમની માટે ડેબિટ કાર્ડ હજુપણ સુસંગતતા ધરાવે છે, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.
મેમાં યુપીઆઈ મારફતના મૂલ્ય તથા વોલ્યુમની દ્રષ્ટિએ વિક્રમી વ્યવહાર પાર પાડવામાં આવ્યા
સમાપ્ત થયેલા મેમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતના વ્યવહાર વોલ્યુમ તથા વેલ્યુ બન્ને દ્રષ્ટિએ વિક્રમી રહ્યા છે. મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહાર એપ્રિલની સરખામણીએ ૩ ટકા વધી રૂપિયા ૨૯.૯૦ ટ્રિલિયન (લાખ કરોડ) રહ્યા છે જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ આ આંક એપ્રિલની સરખામણીએ ૪ ટકા વધી ૨૩.૨૦ અબજ રહ્યો છે, એમ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી ડેટામાં જણાવાયું છે.
૨૦૧૬ના એપ્રિલથી જ્યારથી યુપીઆઈ કાર્યરત થયું છે ત્યારથી મે મહિનાના આ આંક વિક્રમી રહ્યા છે. મેમાં દૈનિક વ્યવહારની સરેરાશ સંખ્યા ૭૪.૮૦ કરોડ રહી હતી જે એપ્રિલમાં ૭૪.૫૦ કરોડ જોવા મળી હતી.
ઊનાળાના વેકેશનને લઈને પર્યટકોની સંખ્યામાં વધારો તથા પ્રાસંગિક ખરીદી જેવા કારણોસર યુપીઆઈ વ્યવહારમાં વધારો જોવા મળ્યો હોવાનું એનપીસીઆઈના સુત્રોએ જણાવ્યું હતું.










