![]()
મ્યુનિ. કોર્પોરેશને તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણના ભાગરૂપે જારી કરેલા પરિ૫ત્ર અંગે રોષ વ્યક્ત કરી લારી-ગલ્લાધારકોએ પરિપત્ર પરત ખેંચવાની માગ કરી છે.
આ પરિપત્રમાં શહેરના ૧૪ મુખ્ય માર્ગોને નો-વેન્ડિંગ ઝોન તરીકે જાહેર કરાયા છે, જ્યાં કોઈપણ પ્રકારના લારી-ગલ્લા કે પથારા લગાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, તમામ સ્ટ્રીટ વેન્ડરોને રાત્રે ૧૧ વાગ્યા સુધી જ વેપાર કરવાની છૂટ આપી છે અને ત્યારબાદ લારી તેમજ સામાનને સ્થળ પરથી હટાવી લેવાની સૂચના છે. અન્યથા જપ્તીની કાર્યવાહી કરાશે તેવું જણાવાયું છે.
આ નિર્ણયના વિરોધમાં આજે બપોરેના સુમારે મોટી સંખ્યામાં લારી-ગલ્લા ધારકો અને તેમના આગેવાનો મ્યુનિ. કોર્પોરેશનની વડી કચેરી ખાતે મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં વેપારીઓએ પોતાની માગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. મોરચાના પગલે કમિશ્નર કચેરીના દરવાજા બંધ કરાતા લારી-ગલ્લા ધારકોએ હોબાળો મચાવ્યો હતો.
આગેવાનોએ જણાવ્યું કે પરિપત્ર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટની વિરુદ્ધ છે. શહેરમાં મૂળ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ કરાયો નથી. મ્યુનિ.કોર્પોરેશનને સમયમર્યાદા નક્કી કરવાનો અધિકાર નથી. આ પ્રકારના પ્રતિબંધાત્મક નિર્ણયોથી હજારો પરિવારોની રોજીરોટી પર સીધી અસર પડશે.










