![]()
Rule Change From July: જૂન મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં જુલાઈ 2026ની શરૂઆત થઈ જશે. દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી જુલાઈથી દેશમાં કેટલાક મહત્ત્વના નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યાં છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડશે. આમાંથી કેટલાક ફેરફારો લોકોને રાહત આપનારા છે, તો કેટલાક નિયમો ખિસ્સા પર બોજ વધારી શકે છે. ચાલો જાણીએ કે 1 જુલાઈથી કયા 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.
પહેલો ફેરફાર: આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવું બનશે મફત
UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ મુજબ જો તમારી ઈમેલ આઈડી આધાર કાર્ડ સાથે લિંક અથવા અપડેટ થયેલી નથી, તો 1 જુલાઈથી તમે તેને બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવી શકશો. UIDAI આ ફ્રી સુવિધા માટે જુલાઈથી ડિસેમ્બર સુધી એટલે કે પૂરા 6 મહિનાનો સમય આપી રહ્યું છે. અગાઉ આ અપડેટ કરાવવા માટે 75 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી.
બીજો ફેરફાર: LPG સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી એલપીજી (LPG)ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 53.50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. હાલ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 3113.50 રૂપિયા છે. જો કે, જૂનમાં રાંધણ ગેસ (ઘરગથ્થુ સિલિન્ડર)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો, પરંતુ 1 જુલાઈએ ફરી નવી કિંમતો જાહેર થઈ શકે છે.
ત્રીજો ફેરફાર: ATF, CNG અને PNGના દરોમાં ફેરફાર
એલપીજી ઉપરાંત દર મહિનાની પહેલી તારીખે એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ – વિમાનનું ઈંધણ), સીએનજી (CNG) અને પીએનજી (PNG)ના ભાવમાં પણ ફેરફાર થતો રહે છે. સરકાર હાલમાં એલપીજીના બદલે પીએનજીના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કડક વલણ અપનાવી રહી છે. જૂન મહિનામાં સીએનજી અને એટીએફ બંનેના ભાવ વધ્યા હતા, જેથી 1 જુલાઈથી આ તમામ ઈંધણોની કિંમતમાં નવો બદલાવ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગમાં 43% ઘટાડો
ચોથો ફેરફાર: HDFC બેન્કના ક્રેડિટ કાર્ડના નિયમો વધુ કડક બનશે
HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે. બેન્કના પ્રીમિયમ ‘રેગૅલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ’ (Regalia Gold Credit Card) પર મળનારી ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની સુવિધાનો લાભ ચાલુ રાખવા માટે હવે નવી ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુધારેલી પોલિસી અનુસાર, ગ્રાહકોએ આગામી ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) ફ્રી લાઉન્જનો લાભ લેવો હશે, તો તેમણે અગાઉના ક્વાર્ટરમાં ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછા 60,000 રૂપિયાનો ખર્ચ કરવો ફરજિયાત રહેશે. લાઉન્જનો વપરાશ વધવાના કારણે બેન્કે આ સુવિધા કડક બનાવી છે, જેનાથી મુખ્યત્વે પ્રવાસ કરનારા ગ્રાહકો પ્રભાવિત થશે.
પાંચમો ફેરફાર: જુલાઈ મહિનામાં બેન્કો રહેશે બંધ
જુલાઈ 2026ના મહિનામાં ગુજરાતમાં જાહેર રજાઓને કારણે બેન્કિંગ કામકાજ પર ખાસ મોટી અસર જોવા નહીં મળે. ગુજરાત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના સત્તાવાર કેલેન્ડર અનુસાર, જુલાઈ મહિનામાં ગુજરાતમાં કોઈ મોટી પ્રાદેશિક કે રાષ્ટ્રીય જાહેર રજા નથી. આ મહિનામાં બેન્કો માત્ર નિયમિત 6 સાપ્તાહિક રજાઓ (બીજો-ચોથો શનિવાર અને તમામ રવિવાર) દરમિયાન જ બંધ રહેશે. આથી ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે પોતાના નાણાકીય કાર્યોનું અગાઉથી આયોજન કરી લેવું.










