![]()
BJP Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વર્ષ 2026ની નવી ટર્મ માટેના ચૂંટણી પરિણામો બાદ હવે જ્ઞાતિ આધારિત વિશ્લેષણ સામે આવ્યું છે. ભાજપે આ વખતે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવણી કરી હતી, જેમાં મોટાભાગના ઉમેદવારો વિજયી થયા છે.
ભાજપના વિજેતા ઉમેદવારોનું જ્ઞાતિ આધારિત વિશ્લેષણ
ભાજપના કુલ 160 કોર્પોરેટરો આ વખતે જીતીને સત્તાના સિંહાસને બેઠા છે. જેમાં મુખ્ય જ્ઞાતિઓના વિજેતા ઉમેદવારોની સંખ્યામાં ભાજપના 51 પટેલ ઉમેદવારોએ જીત મેળવી છે. ભાજપે 17 બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 16 ઉમેદવારો જીત્યા છે. જ્યારે 14 જૈન ઉમેદવારોએ કોર્પોરેટર તરીકે જીત હાંસલ કરી છે. ભાજપે 10 OBC ઉમેદવારોને સામાન્ય (General) બેઠકો પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને આ તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે.
નોંધનીય છે કે, બ્રાહ્મણ ઉમેદવારોમાં એકમાત્ર ખાડિયા વોર્ડમાંથી પંકજ ભટ્ટની હાર થઈ છે, બાકીના તમામ જ્ઞાતિ આધારિત પસંદ કરાયેલા ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો: ‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં
કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ માટે ખેંચતાણ
બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસને આ વખતે ગત ટર્મ કરતા 7 બેઠકોનો ફાયદો થયો છે, જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા 25 થી વધીને 32 પર પહોંચી છે. બેઠકો વધતાની સાથે જ કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનવા માટેની રેસ તેજ બની છે. વિપક્ષી નેતાની રેસમાં ગત ટર્મના નેતા શહેજાદખાન પઠાણ અને ઉપનેતા નિરવ બક્ષીના નામ સૌથી મોખરે છે.
કોંગ્રેસે દાણીલીમડા, બહેરામપુરા અને ગોમતીપુર વોર્ડની તમામ 12 બેઠકો જીતીને પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો અને નવા ચહેરાઓની પસંદગી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ છે, જ્યારે કોંગ્રેસ હવે સંગઠનમાં નવા નેતૃત્વની શોધમાં છે.










