Pramukhvarni Amrut Mahotsav: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 7 ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે. આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વંયસેવકો દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઈટિંગ ધરાવતી હોડીઓ પર પ્રદર્શિત કરાનારા 75 સૂત્ર હશે. આ અંગે ગુજરાત સમાચાર ડિજિટલને અક્ષરવત્સલ સ્વામીએ વિગતવાર માહિતી આપી છે.
સાબરમતીમાં હોડીઓ પર રજૂ કરનારા 75 સૂત્રોની પસંદગી
પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ વિશે માહિતી આપતા BAPSના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળમાં 28 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજને 21-5-1950ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. આ પ્રસંગને 2025માં 75 વર્ષ પૂરા થયા, જેથી અમદાવાદમાં જ એક સ્મૃતિરૂપે તેમને અંજલિ આપવા અને સ્મૃતિમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગ માટે સંતોએ ચર્ચા કરીને નક્કી કર્યું હતું કે, સાબરમતીના કિનારે આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામીની નિયુક્તિ થઈ હતી. સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર પ્રમુખ સ્વામી માર્ગ છે. આપણે ત્યાં આ કાર્યક્રમ કરીએ છીએ, તો અંજલિ આપવા નદીમાં નૌકાની સાથે તેમના ગુણ જોડીશું તો પ્રાસંગિક બનશે. આ વિચાર પછી શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતા, વચનામૃત, તુલસીદાસકૃત રામચરિત માનસ અને મહાભારત જેવા શાસ્ત્રો તેમજ સંત-કવિઓની રચનામાં સંતોના ગુણો, લક્ષણો અને મહિમાના સદગુણોમાંથી કુલ 75 સૂત્રની પસંદગી કરાઈ, જે તમામ ડેકોરેટિવ લાઈટિંગવાળી હોડીઓ પર પ્રદર્શિત કરાશે.

આ પ્રસંગે મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદના આમંત્રિત હરિભક્તો અને મહેમાનો હાજર રહેશે.
શાહપુરની આંબલીવાળી પોળ સાથે જોડાયેલી યાદો
અમદાવાદના શાહપુરની વચ્ચોવચ આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાની અઢળક યાદો જોડાયેલી છે. આ પોળમાં વર્ષ 1907થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ પધારતા હતા. આમ, આ પોળ શાસ્ત્રીજી મહારાજના અનેક સત્સંગ અને ઉત્સવોની સાક્ષી છે. અહીં જ બબુભાઈ પટેલના ઘરમાં વર્ષ 1939માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને દીક્ષા આપી હતી. તે વખતે પ્રમુખ સ્વામી આ પોળમાં ઘરે-ઘરે ઝોળી માંગી નિર્વાહ કરતા હતા. આ દરમિયાન વર્ષ 1942માં પ્રમુખ સ્વામીએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન 21-05-1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને BAPS સંસ્થાની ધૂરા સોંપી હતી.
આ પોળમાં રહેતા 15થી 20 હરિભક્તોએ પોળનો જીર્ણોદ્ધાર કરવા માટે પોતાના ઘર BAPSને સોંપી દીધાં હતાં. ત્યાર પછી આ સમગ્ર પોળનું અંદાજે 50 હજાર સ્ક્વેર ફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જે 27 માર્ચ 2022માં આ પોળ હરિભક્તો માટે ખુલ્લી મુકાઈ છે.
આંબલીવાળી પોળનું ધાર્મિક માહાત્મ્ય અને વિશેષતા
આંબલીવાળી પોળમાં 2000 સ્ક્વેર ફૂટ ફ્લોર સ્પેસ હતો, જેમાં અંદાજે 50 હજાર સ્ક્વેર ફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં 15×15 ફૂટના જે ઓરડામાં પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને સંસ્થાની ધૂરા સોંપાઈ હતી, ત્યાં સ્મૃતિ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. 
આંબલીવાળી પોળની વાસ્તુકલા પરંપરાગત છે. આ પોળ આગામી 500 વર્ષ સુધી અડીખમ રહે તે રીતે ડિઝાઈન કરાઈ છે. જીર્ણોદ્ધાર વખતે પોળનો ચોક અને ઝરુખા પણ નવેસરથી તૈયાર કરાયા છે. આ ઉપરાંત મકાનનું ફ્લોરિંગ 100-150 વર્ષ પહેલાંની મોઝેક ટાઇલ્સ જેવું જ કરાયું છે. અહીં શાસ્ત્રીજી મહારાજના જીવનને દર્શાવતી ફોટો વૉલ પણ છે અને જે ખાટલામાં શાસ્ત્રીજી મહારાજ આરામ કરતાં તેના પર આબેહૂબ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકાઈ છે. અહીં એક સાથે 200 ટુ-વ્હિલર પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ પણ છે. અહીં એક પ્રમુખ સ્વામી સભાગૃહ પણ છે, જેમાં 500-700 હરિભક્તો એક સાથે સત્સંગ કરી શકે તેવી સુવિધા છે.

નોંધનીય છે કે, આ ઉત્સવ અંતર્ગત છેલ્લા એક વર્ષથી નાના-મોટા આયોજનો ચાલી રહ્યા છે. જેમાં ખાસ કરીને સત્સંગ સભાઓ અને એકાદ વર્ષથી બાળ યુવા પ્રવૃતિમાં સંસ્કાર સિંચનના કાર્યક્રમ કરાયા છે. હવે એનો મુખ્ય સમારોહ સાતમી ડિસેમ્બરે યોજાશે.










