![]()
Rise and Collapse of Indian Airlines: Why Aviation Keeps Failing in India | તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ જે નબળી સ્થિતિમાંથી ગુજરી રહી છે, એણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે નિષ્ફળતાના લાંબા ઇતિહાસને ફરી ઉજાગર કરી દીધો છે. 1991ના આર્થિક ઉદારીકરણ પછી ભારતમાં બે ડઝનથી વધુ એરલાઇન કંપનીઓ ઊગીને આથમી ગઈ છે. ‘ઇસ્ટ-વેસ્ટ’થી લઈને ‘ગો ફર્સ્ટ’ સુધીની કંઈકેટલીય એરલાઇન્સના સપના બેહિસાબ દેવા, કોર્ટ-કચેરીઓના ચક્કર અને ત્યજી દેવાયેલા વિમાનો સાથે પૂરા થઈ ગયા છે. વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર હોવા છતાં ભારતીય આકાશમાં એરલાઇન્સ માટે સફળતાની લાંબી ઊડાન આટલી અઘરી કેમ છે?
1991માં એકાધિકાર ભંગ થયો
1991 પહેલાં ભારતીય આકાશ પર સંપૂર્ણ રીતે સરકારી એરલાઇન્સનું રાજ હતું. એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય રૂટ્સ સંભાળતી, તો ઇન્ડિયન એરલાઇન્સ ઘરેલુ માર્ગો પર પ્રભુત્વ ધરાવતી. ખાનગી ક્ષેત્રને આ ઉદ્યોગમાં પ્રવેશ કરવાની મંજૂરી નહોતી. પરંતુ 1991ના આર્થિક ઉદારીકરણે માહોલ બદલી નાખ્યો. નવા દરવાજા ખુલ્લા થયા અને નવી એરલાઇન્સનો સળવળાટ શરુ થયો.
એકીસાથે અનેક નવા ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા
1992માં ‘ઇસ્ટ-વેસ્ટ’ એરલાઇન્સ દેશની પ્રથમ ખાનગી એરલાઇન બની. એ પછી જેટ, દમનિયા, મોદીલુફ્ટ અને એનઇપીસી જેવી કંપનીઓ આવી. આ બધી કંપનીઓ બહેતર સેવા, નવા વિમાન અને ઓછા ભાડા વડે ઇન્ડિયન એરલાઇન્સને ટક્કર આપવા મેદાને પડી તો ખરી, પરંતુ મોટાભાગની કંપનીઓ એક દાયકો પણ ટકી શકી નહીં.
ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ: કંપનીની નાદારી અને માલિકની હત્યા!
કેરળના થાકીઉદ્દીન વાહિદ દ્વારા સ્થાપિત આ એરલાઇને ઇન્ડિયન એરલાઇન્સ કરતાં પણ સસ્તા ભાડા ઓફર કર્યા. પરિણામે કંપનીને ખોટ ગઈ. 1995 સુધીમાં બૅંકોની લોન ડિફોલ્ટ થઈ, વિમાનો જપ્ત થયા અને કંપની નાદાર જાહેર થઈ. 13 નવેમ્બર, 1995ના રોજ વાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી, જેના માટે અંડરવર્લ્ડ તરફ આંગળી ચિંધાઈ. ઑગસ્ટ 1996 સુધીમાં ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ.
દમનિયા એરવેઝ: નાનો ખેલ પણ ન જામ્યો
આ એરલાઇને બોમ્બે-ગોવા, બોમ્બે-પૂણે જેવા ટૂંકા માર્ગો પર પ્રીમિયમ સેવા આપવાનો માર્ગ અપનાવ્યો. પરંતુ ઉચ્ચ ખર્ચને કારણે એ ચાર વર્ષ પણ ટકી શકી નહીં. 1997માં તેણે તેના બંને વિમાન વેચી દીધા અને કંપનીનો ખેલ ખતમ થઈ ગયો.
મોદીલુફ્ટ: મજબૂત જર્મન સાથી મળ્યો, પણ સફળતા નહીં
1993માં ‘મોદી રબર’વાળા મોદી પરિવાર અને જર્મન એરલાઇન લુફ્થાન્સાના સંયુક્ત સાહસ તરીકે ‘મોદીલુફ્ટ’ શરુ થઈ. ત્રણ જ વર્ષમાં બંને પાર્ટનર વચ્ચે નાણાકીય હિસાબ બાબતે ભારી વિવાદ ઊભો થયો, જેને પગલે 1996માં લુફ્થાન્સાએ રાતોરાત તેના તમામ વિમાનો પાછા ખેંચી લીધા. બીજા જ અઠવાડિયે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મોદીલુફ્ટનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું અને એરલાઇન બંધ થઈ ગઈ.
સહારા એરલાઇન્સ: ડૂબતાએ તરણું ઝાલ્યું તોય તરી ન શકાયું
1993માં શરુ થયેલી એર સહારા (પછીથી ફક્ત ‘સહારા’) તે સમયની સૌથી મહત્ત્વાકાંક્ષી એરલાઇન હતી. ઇન્ડિયન એરલાઇન્સ બોમ્બેથી દિલ્હી માટે ₹6,000નું ભાડું લેતી હતી ત્યારે સહારાએ આ રુટ માટે માત્ર ₹2,999નું ભાડું રાખ્યું, જેને લીધે માર્કેટમાં ખળભળાટ મચી ગયો. 100% લીઝ પર ચાર નવા બોઇંગ 737-400 વિમાનો ખરીદવામાં આવ્યા. 1997-98ની પૂર્વ એશિયાઈ નાણાકીય કટોકટી ડૉલરના ભાવમાં ભારે વધારો લાવી અને લીઝ ખર્ચ 20% જેટલો વધી ગયો. નુકસાન વધવા લાગ્યું. આખરે, સહારાએ 1998માં જેટ એરવેઝને 49% હિસ્સો વેચી દેવો પડ્યો. હાલત વધુ ખરાબ થતાં 2007માં સંપૂર્ણ એરલાઇન વેચી દીધી. એનું નવું નામ ‘જેટલાઇટ’ રાખવામાં આવ્યું. 2019માં જેટ એરવેઝના પતન સાથે જેટલાઇટ પણ બંધ થઈ ગઈ.
સતત નિષ્ફળતા છતાં નવા નવા ખેલાડી આવતાં જ ગયા
આટલી નિષ્ફળતાઓ છતાં ભારતીય આકાશને સર કરવા માટે સમયાંતરે નવીનવી એરલાઇન્સ ઉડાન ભરતી જ રહી. અમુક ઉદાહરણ જોઈએ.
– 2003માં એર ડેક્કને ટ્રેનના ભાડા કરતાં પણ સસ્તું ભાડું ઓફર કરી લો-કોસ્ટ કેરિયરની ક્રાંતિ કરી. એની ‘ફ્લાય ઈઝી’ની વિભાવના શરુઆતમાં હીટ થઈ. 2007માં વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે એર ડેક્કનને ખરીદી લીધી, પણ કિંગફિશર પોતે જ વૈભવી વ્યવસાય મોડેલ અને ભારે દેવાને કારણે 2012માં બંધ થઈ ગઈ.
– 2005માં શરુ થયેલી જેટ એરવેઝ લાંબો સમય ટકી રહી, પણ 2019માં એય દેવા અને નાણાકીય સંકટને કારણે બંધ થઈ ગઈ.
– ગો ફર્સ્ટ (અગાઉ ‘ગોએર’) 2023માં નાદારીમાં ગઈ. દરમિયાન એર કોસ્ટા, એર પેગાસસ, એર ઓડિશા જેવી પ્રાદેશિક એરલાઇન્સ પણ આવી અને અદૃશ્ય થઈ ગઈ.
એરલાઇન્સના પતનના મુખ્ય કારણો કયા?
આ તમામ એરલાઇન્સના પતનના મુખ્ય કારણો લગભગ એકસમાન હતા.
1. કટ્ટર સ્પર્ધાને લીધે જામ્યું ભાડાયુદ્ધ: બજારમાં પ્રવેશ કરતી દરેક નવી કંપની ટિકિટના દર બીજી કંપનીઓ કરતાં એટલી હદે ઓછા રાખતી કે જેથી એના માટે નફો કરવું અશક્ય બની જતું.
2. ઊંચો સંચાલન ખર્ચ: વિમાનો 100% લીઝ પર લેવામાં આવતાં, જેનો ખર્ચ ડૉલરમાં હતો. રૂપિયાની કિંમત ઘટતાં આ ખર્ચ વ્યવસ્થાપનની બહાર નીકળી જતો.
3. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર ઊંચો કર: ATF પર લાગતો ઉચ્ચ કર અને રાજ્યવાર વેરાના ભિન્ન દરને લીધે બળતણ ખર્ચ એટલો બધો આવતો કે કંપની માટે નફો કરવું મુશ્કેલ બની જતું.
4. અપરિપક્વ નાણાકીય યોજના: ઘણી કંપનીઓ ઓછી પૂંજીથી શરુ થતી અને વધતાં દેવા સામે ટકી ન શકતી.
5. કંપનીના બંધારણ અને પ્રબંધનમાં ખામી: લુફ્થાન્સા-મોદીલુફ્ટ જેવા સંયુક્ત સાહસમાં ભાગીદારો વચ્ચેના મતભેદ પણ પતનનું કારણ બન્યાં.
હાલની એરલાઇન્સની સ્થિતિ કેવી છે?
તમામ ઉતાર-ચડાવ વચ્ચે પણ 2006 માં શરુ થયેલી ઇન્ડિગો ટકી ગઈ. જાળવણી ખર્ચ ઓછો આવે એ માટે એણે એક જ પ્રકારના વિમાનો રાખ્યા, કાળજીપૂર્વકની નાણાકીય યોજનાઓ ઘડી અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેને લીધે એ નફો કરતી થઈ. બીજી તરફ, ડૂબતી એર ઇન્ડિયાને ટાટા જૂથે બચાવી લીધી. હવે એ નવા વિમાનો અને યોજનાઓ સાથે પુનરુત્થાનનો પ્રયાસ કરી રહી છે. સ્પાઇસ જેટ(શરુઆત 2005માં)નો સંઘર્ષ હજુ જારી છે, તો અકાસા એર (શરુઆત 2021માં) જેવી નવી એરલાઇન્સ સામે લાંબો અને પથરાળ માર્ગ છે.
હવાઈ ઉડ્ડયન ક્ષેત્રનું ભવિષ્ય શું?
ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનો ઇતિહાસ દર્શાવે છે કે ફક્ત સસ્તું ભાડું અને આકર્ષક વિજ્ઞાપનોથી એરલાઇન ચલાવી શકાતી નથી. મજબૂત નાણાકીય યોજના, ખર્ચ પર નિયંત્રણ, ભાડાની તર્કસંગત નીતિ અને અનિશ્ચિતતાઓ માટેની સહનશક્તિ જ એરલાઇનને ટકાવી શકે છે. સરકારે ATFને GSTના દાયરામાં લાવવા અને બંધારણીય સુધારા કરવા જેવા પગલાં ભર્યાં છે, એ આવકાર્ય પગલું છે, પરંતુ માર્ગ હજુ લાંબો છે. જ્યાં સુધી મૂળભૂત સમસ્યાઓ ઉકેલાશે નહીં ત્યાં સુધી એરલાઇન્સ માટે ભારતના આકાશમાં ટકી રહેવું અઘરું બનશે.










