Gujarat Rain News: અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો રહ્યો છે. જેને લીધે વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જેને લીધે અનેક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 18, 19, 20 અને 21 તારીખે રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મોડી રાતથી જ રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ થયો હતો.
અનેક વિસ્તારોમાં માવઠું
આજે બપોર પછી પણ અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ થયો છે. જેમાં ઑફિસેથી ઘરે જતી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના S G હાઈવે, મકરબા, સેટેલાઇટ, બોપલ, રામદેવનગર, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ, વિસલપુર, સનાથલ, કાશિન્દ્રા અને શાંતિપુરા સહિતના વિસ્તારમાં માવઠા થયા છે.
40 કિમીની ઝડપે પવન
રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં વરસાદ કરતા પવનનું જોર વધુ જોવા મળ્યું. સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું, સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો જે બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં પણ વાતાવરણમાં પલટો આવતા બાવળા નાનંદ બાગમાં સ્વદેશી મેળામાં નુકસાન થયું હતું.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અસર
શહેરમાં પવનના જોરને કારણે વિવિધ વિસ્તારોમાં કુલ 16 વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી, ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં નવ જેટલા વૃક્ષો પડ્યા હતા. આ ઉપરાંત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં પણ વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ 16 સ્થળોએથી અવરોધો દૂર કરી ‘વર્ક ડન’ રિપોર્ટ જાહેર કર્યો છે.

7 જિલ્લામાં રેડ ઍલર્ટ
આજે(19 માર્ચ) સાંજે 7 વાગ્યાના હવામાન વિભાગના Nowcast મુજબ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
માતાજીના મંદિરનો મંડપ હવામાં ઉછળ્યો: વીજ લાઈન પર પડ્યો
બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામ પાસે આજે કુદરતી આફત અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અચાનક ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાને કારણે હાઈવે પર સ્થિત એક મંદિરનો મંડપ હવામાં ઉડીને હાઈવોલ્ટેજ વીજ લાઈન પર ફસાઈ ગયો હતો. જોકે, સદનસીબે વીજ કંપનીની સતર્કતા અને આધુનિક લાઈનને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સરી ગામે હાઈવે પર ઉગતા પોરના મેલડી માતાજીનું મંદિર આવેલું છે. હાલમાં ચૈત્રી નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોવાથી મંદિરના પટાંગણમાં ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અને જોરદાર વાવાઝોડું ફૂંકાતા, આ મંડપ જમીન પરથી ઉખડીને હવામાં ઉછળ્યો હતો. હવામાં ઉડેલો આ મંડપ સીધો મંદિર ઉપરથી પસાર થતી 11 KV ફીડરની લાઈન પર જઈને ચોંટી ગયો હતો.

સામાન્ય રીતે આવી ઘટનાઓમાં મોટો બ્લાસ્ટ થતો હોય છે અથવા તો આખા મંડપમાં કરંટ ઉતરી આવવાથી ભયંકર હોનારત સર્જાતી હોય છે. પરંતુ આ કિસ્સામાં ચિત્ર અલગ હતું. વીજ કંપની દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારમાં નવી આધુનિક વીજ લાઈન નાખવામાં આવી છે.આ લાઈન એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તેના પર કોઈ પણ વસ્તુ અથડાય કે ચોંટે તો પણ કરંટ લાગતો નથી જેથી મંડપ લોખંડ કે કાપડનો હોવા છતાં, આ વિશિષ્ટ વાયરિંગને કારણે કોઈ શોર્ટ સર્કિટ થઈ ન હતી કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ સ્થાનિકો અને મંદિરના ટ્રસ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ભક્તોમાં પણ એવી ચર્ચા હતી કે માતાજીની અસીમ કૃપા અને વીજ વિભાગની કામગીરીને કારણે આજે એક મોટી હોનારત ટળી ગઈ છે.










