Image Source: Google Map
Subhash Bridge News : હાલમાં જ બંધ કરાયેલા અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તંત્રએ મધ્યમ માર્ગ કાઢતા નિર્ણય લીધો છે કે, હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રીપેર કરીને મજબૂત કરવામાં આવશે અને તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવામાં આવશે.
36 મીટર પહોળો બ્રિજ બનાવાશે, જેથી ટ્રાફિક ના થાય
કોર્પોરેશનની જાહેરાત મુજબ, અત્યારે જે સુભાષ બ્રિજ છે તેની બંને તરફ બે નવી લેન તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય.
કેવી રીતે થશે કામગીરી?
ફેઝ – 1 : વર્તમાન બ્રિજનું રિસ્ટોરેશન
પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝીટ ગર્ડર આધારિત નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરાશે. આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે.
ફેઝ – 2 : બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ
બીજા ફેઝમાં હાલના બ્રિજની બંને બાજુ એક જ લેવલે નવા 2-2 લેનના બ્રિજનું નિર્માણ કરાશે. આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપર સ્ટ્રક્ચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરાઈ છે.
બંને ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે. તે મુજબ સમગ્ર કામ માટે EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રખાઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ઉત્તર અને મધ્ય વિસ્તારો વચ્ચેનું ટ્રાફિક દબાણ ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનશે.
9 મહિનામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
અમદાવાદીઓને વધુ સમય સુધી હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રએ સજ્જડ યોજના ઘડી હોવાનો દાવો કર્યો છે. આગામી સોમવારે જ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે. વર્ક ઓર્ડર આપ્યાના 9 મહિનાની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
નિષ્ણાતોના મતે બ્રિજને આખો તોડી પાડવા કરતાં રિસ્ટોરેશન અને એક્સટેન્શન કરવું વધુ વ્યવહારુ છે. આમ કરવાથી બ્રિજનું આયુષ્ય પણ વધશે અને વાહનોની અવરજવર માટે વધુ સ્પેસ પણ મળી રહેશે. ખાસ કરીને સાબરમતી અને આસપાસના વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 36 મીટર પહોળાઈનો નિર્ણય લેવાયો છે.
સર્વે બાદ લેવાયો નિર્ણય: AI અને જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ
તાજેતરમાં સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી, જેના કારણે સલામતીના કારણસર તેને વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. આ બ્રિજની ગંભીરતા તપાસવા માટે તંત્ર દ્વારા હાઈટેક પદ્ધતિ અપનાવાઈ હતી. જો કે, નિષ્ણાત એજન્સીઓ દ્વારા અગાઉ અપાયેલા પ્રાથમિક અહેવાલના આધારે જ આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવ્યા ત્રણ વિકલ્પ
બ્રિજ નિષ્ણાતો અને એન્જિનિયરિંગ એજન્સીઓએ કોર્પોરેશનને ત્રણ પ્રકારના ઉકેલ સૂચવ્યા હતા. પ્રથમ વિકલ્પ આખા બ્રિજને તોડીને નવો બનાવવો, બીજો વિકલ્પ નબળા સ્પાન નીચે વધારાનો પિલર ઊભો કરી ટેકો આપવો અને ત્રીજો વિકલ્પ હાલનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. નિષ્ણાતોના મતે 50 વર્ષ જૂના આ બ્રિજ માટે તેને તોડીને નવો બનાવવો એ જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
સુભાષ બ્રિજ અડધી સદી જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને હાલના સમયના ભારે ટ્રાફિકને સહન કરવા માટે સક્ષમ નથી. એજન્સીઓના રિપોર્ટ મુજબ, બ્રિજની ઉંમર પૂરી થઈ ગઈ હોવાથી તેના રીપેરીંગ પાછળ ખર્ચ કરવાને બદલે નવી ડિઝાઇન અને આધુનિક જરૂરિયાતો મુજબ વધુ પહોળો બ્રિજ બનાવવો અનિવાર્ય છે.
જો કોર્પોરેશન નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેશે, તો સાબરમતી નદીના બારેમાસ ભરેલા પાણી વચ્ચે બાંધકામ કરવું એ સૌથી મોટી ટેકનિકલ ચેલેન્જ હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અંદાજે દોઢ થી બે વર્ષનો સમય લાગી શકે છે. નવો બ્રિજ સંપૂર્ણપણે આધુનિક સુવિધા અને વધુ ટ્રાફિક ક્ષમતા ધરાવતો હશે, જે શહેરની આગામી દાયકાઓની જરૂરિયાતોને પૂરી કરશે.










