![]()
Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઠી રોડ બાયપાસ પર ટ્રકને રોકવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌપ્રેમીઓને ચોક્કસ માહિતી મળી હતી કે સાવરકુંડલામાંથી ગેરકાયદે રીતે પશુઓ ભરેલી એક ટ્રક ભરૂચ તરફ કતલખાને જઈ રહી છે. આ માહિતીના આધારે ગૌપ્રેમીઓ તાત્કાલિક લાઠી રોડ બાયપાસ પર સક્રિય થયા હતા અને શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 11 ભેંસ મળી આવી હતી, જેને ગેરકાયદે રીતે ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર
પોલીસે ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરી
ગૌપ્રેમીઓએ તરત જ ટ્રકને કબજે કરી હતી અને સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપ્યો હતો. અમરેલી પોલીસ દ્વારા ટ્રકચાલક સહિત બે લોકો અને કતલખાને લઈ જવાતા પશુઓ અંગે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે ટ્રકના ડ્રાઇવરની અટકાયત કરીને આ રેકેટના અન્ય સૂત્રધારો કોણ છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ગૌપ્રેમીઓની સક્રિયતાથી આ પશુઓને જીવતદાન મળ્યું છે.










