![]()
– વેરાઈ માતાથી ચોપાટાના આરસીસી રોડમાં ખાડાંથી વેપારીઓને નુકસાન
– અમરેલીની કર્મા એજન્સી દ્વારા બનાવેલા રોડમાં બેદરકારી સામે આવતા મનપાની નોટિસ : રસ્તાનું કામ ફરી શરૂ કરતા રોડ બંધ કરવાથી વેપારીઓને ફરી હાલાકી
આણંદ : આણંદ મહાનગરપાલિકા દ્વારા વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડની કામગીરીમાં ઇજારાદાર દ્વારા ગુણવત્તાયુક્ત તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામગીરી થયેલી ન હોવાનું જણાતા આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદાર કર્મા એજન્સી- અમરેલીને ક્ષતિયુક્ત ભાગને સ્વખર્ચે અને જોખમે તુટેલા ભાગને નવેસરથી બનાવવા નોટિસ આપી હતી.
આણંદના હાર્દ ગણાતા ચોપાટા અને વેરાઈ માતા વિસ્તારમાં આરસીસી રોડનું રૂા. ૩૨ લાખના ખર્ચે એક મહિના અગાઉ ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રોડ બંધ કરી દેવાતા શાકમાર્કેટ પણ બીજે લઈ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારના હોલસેલ અને છૂટક દુકાનદારોને મહિનાથી ધંધો બંધ થઈ જતા આથક નુકસાન થવા પામ્યું હતું. આ અંગે મહાપાલિકામાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
આરસીસી રોડનું કામ પૂરું થયા બાદ ફરીથી રોડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વરસાદના કારણે આખો રોડ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા હતા. એક જ મહિનામાં રોડ બિસ્માર બનતા આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. આ અંગે ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલીને વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના ક્ષતિગ્રસ્ત આરસીસી રોડને સ્વખર્ચે નવેસરથી બનાવવા મનપાએ નોટિસ ફટકારી છે. ત્યારે ઈજારાદાર દ્વારા તૂટેલા ભાગને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
તકલાદી રોડના કામથી મહાપાલિકા દ્વારા ફરી રોડ બંધ કરી દઈને રિપેરિંગ કામ શરૂ કરવામાં આવતા વિસ્તારના વેપારીઓમાં વિરોધ ફેલાયો છે. વેપારીઓએ જણાવ્યું છે કે, ચોપાટા વેરાઈ માતા વિસ્તારમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે હોલસેલ વેપારીઓ દ્વારા રૂપિયા ૫થી ૨૦ લાખ સુધીનું રોકાણ કરવામાં આવ્યું છે અને હવે રસ્તો બંધ કરી દેવામાં આવતા તમામ વેપારીઓને ગ્રાહકોના અભાવે મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. વિસ્તારમાં અનાજ- કરિયાણા સહિત અનેક વેપારીઓને રસ્તો બંધ થતા રોજ આથક નુકસાન થઈ રહ્યું છે. મહાપાલિકા દ્વારા આરસીસીના રોડમાં બેદરકારી અને હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવતા આખરે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે.
આણંદ પાલિકા હતી ત્યારે મોટાભાગના પાલિકાના ભાજપના પ્રમુખો ચોપાટા અને વેરાઈ માતાના વિસ્તારમાંથી જ પસંદગી પામ્યા છે. આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. છતાં આરસીસીના રોડમાં આટલી મોટી બેદરકારી થવા પામી છે.
નવેસરથી શરૂ કરેલા કામની કોઈ રકમ હજી ચૂકવાઈ નથી : નાયબ મ્યુનિ. કમિશનર
આણંદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે કે, વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડનું કામ જે નવેસરથી ઇજારાદાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, એ કામ માટે આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદારને કોઈ પણ રકમની ચુકવણી હજી સુધી કરવામાં આવેલી નથી.










