![]()
– રવિવારની રજામાં મહાપાલિકાની ટીમે તપાસ હાથ ધરતા ફફડાટ
– 256 માંથી 104 આવાસમાં મૂળ લાભાર્થી રહેતા ન હતા, ભાડુઆત સહિતનાને 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના
ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે, જેના કારણે મહાપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવાસ ભાડે હોય અથવા મૂળ લાભાર્થીના બદલે અન્ય કોઈ રહેતુ હોય તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આવાસ ખાલી કરવા મહાપાલિકાએ સૂચના આપી છે.
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે આજે રવિવારે મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ- ૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકકર્તા ભાડુઆતને દિન-૦૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવેલ છે. અન્યથા આવા આવાસોના સીલીંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળો પર આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી કાર્યવાહી કરવામાં આવનાર છેે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની આર્થીક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુ સરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે, જે પૈકી ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે યોજનાના આવાસો લાભાર્થીઓને લોકાર્પણ કરી સોંપવામાં આવેલ છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે.
આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરાશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત તા. રર નવેમ્બરે સુભાષનગર ખાતે આવેલ અમીરજી પાર્ક પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઈનલ પ્લોટ નં. ર૯ ખાતેના ૩ર૦ આવાસમાં તપાસ કરી હતી અને ૧ર૦ ભાડુઆત મળી આવતા નોટિસ ફટકરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનામાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. મહાપાલિકાની તપાસના પગલે આવાસના લાભાર્થીઓએ ભાડુઆતને આવાસ ખાલી કરાવવુ પડશે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.










