![]()
– મૃતકના કાકાએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– સગીર અને તેનો મિત્ર બાઈક લઈને ઘર તરફ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : શહેરના એરપોર્ટ રોડ નેચરલ પાર્ક નજીક બાઇક અને કાર અથડાતા સગીરનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સુભાષનગરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા મિલનભાઈ નરેશભાઈ ગોહેલ (ઉ.વ.૧૬) અને તેના મિત્ર કરણભાઈના શેઠનું મોટરસાયકલ નંબર જીજે-૦૪-૨૦૭૧નું લઈ મિલનને પાછળ બેસાડી સુભાષનગર ખાતે ઘરે આવતા હતા. તેવામાં નેચરલ પાર્ક એરપોર્ટ રોડ પાસે આવેલા ડિવાઈડર પાસે રોડ ક્રોસ કરતી વખતે ઊભા હતા ત્યારે એરપોર્ટ રોડ તરફથી કાર જીજે-૦૪-ઈપી-૫૨૨૪ના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે અને બેદરકારીથી બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી બાઇક સાથે અથડાવી દેતા મિલન અને કરણભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મિલનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા રાજેશભાઇએ કાર ચાલક વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










