![]()
– સદ્નસીબે વિમાનના કો-પાઈલોટનો બચાવ : કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ
રશિયન બનાવટનું એન્ટોનોવ એએન-૩૨ પરિવહન વિમાન શનિવારે આસામના જોરહાટ ખાતે ઉતરાણ કરતી વેળા તૂટી પડતા ભારતીય હવાઇદળના બે અધિકારીઓ સહિત પાંચ કર્મચારીઓ શહીદ થયા છે. વિમાનમાં બેઠેલી છઠ્ઠી વ્યક્તિરૂપે વિમાનના સહ-ચાલક સદનસીબે બચી ગયા છે. એમને થયેલી ઇજાની સારવાર માટે જોરહાટની સૈન્ય-હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિમાન શનિવારે સવારે ૧૦ના સુમારે રોજિંદી ઉડાન દરમિયાન અકસ્માતને ભેટયું હતું. એ રનવે પર લપસી પડયું હતું, ધબ થઇને ધરાશાયી થઇ ગયા પછી એના બે ટુકડા થઇ ગયા હતા અને છેવટે વિમાનમાં આગ લાગી હતી. આ વિમાન એએન-૩૨ સોવિયેટ ડિઝાઇનનું બે એન્જિન ધરાવતું ટર્બોપ્રોપ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ હતું. આ વિમાનો દેશને દાયકાઓથી વિશ્વના મહત્તમ કઠિન પ્રદેશોમાં કર્મચારીઓ તથા માલસામાનની હેરફેર માટે આધારભૂત વાહન તરીકે સેવા આપતા રહ્યા છે. ભારતીય હવાઇદળે દુર્ઘટનામાં ફરજ દરમિયાન મૃત્યુ પામનાર પાંચ જવાનોના બલિદાન બદલ દિલસોજી વ્યક્ત કરી છે અને એમના શોકગ્રસ્ત પરિવારોને સંવેદના પાઠવી છે. શહીદીને વરેલા જવાનોમાં સ્કવોડ્રન લીડર પ્રશાંતસિંઘ, ફલાઇટ લેફટેનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ અલામનો સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરાઇ છે.










