![]()
– યુનિ. સંલગ્ન નર્સિંગ કોલેજોના છાત્રો એક જ વિષયમાં નાપાસ થયા હતા
– યુનિવર્સિટીના બાઉન્સરોએ વિદ્યાર્થીઓને કુલપતિના કાર્યાલય સુધી જતા અટકાવતા ખેંચતાણ થયા બાદ રજૂઆત કરાઈ
આણંદ: વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ નર્સિંગ કોલેજમાં 200થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થતા ગત શુક્રવારના રોજ વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષતામાં નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક સપ્તાહમાં રી-એસેસમેન્ટ કરી પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું. જેમાં ગણતરીના વિદ્યાર્થીઓના માર્કસમાં સુધારો થયો હતો, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈ ફેરફાર ન થતા આજે પુનઃ વિદ્યાર્થીઓેએ યુનિવર્સિટી સંકુલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને યુનિવર્સિટીના બાઉન્સરોએ વિદ્યાર્થીઓને કુલપતિના કાર્યાલય સુધી જતા અટકાવતા વિદ્યાર્થીઓ અને બાઉન્સરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ ૧૨ જેટલી નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતા ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થતાં ગત શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલ યુનિવસટી ખાતે હોબાળો કરી યુનિવર્સિટીના સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને રી-એસેસમેન્ટ માટેની ખાતરી આપી એક કમિટીની નિમણૂક કરવા સાથે ફરીથી એક સપ્તાહમાં પરિણામ જાહેર કરવા જણાવ્યું હતું. દરમિયાન ગુરૂવારે સાંજે નર્સિંગના વિદ્યાર્થીઓ યુનિવસટી ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી માત્ર છ વિદ્યાર્થીઓના પરિણામમાં જ ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓના પરિણામ યથાવત્ રહ્યાં છે. જેને લઇ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા માટે યુનિવર્સિટી ખાતે દોડી ગયા હતા. જોકે આ સમયે પહેલેથી જ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ટોળાને યુનિર્સિટી ખાતે તૈનાત સિક્યુરિટીના જવાનોએ અટકાવતા મામલો બિચકયો હતો અને બાઉન્સરો અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. આખરે કુલપતિએ અનુમતિ આપતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી.
– એસપી યુનિવર્સિટી કોઈને કોઈ વિવાદને લઈ ચર્ચામાં
છેલ્લા કેટલાક સમયથી સરદાર પટેલ યુનિવર્સિટી કોઈને કોઈ વિવાદને લઈ ચર્ચામાં રહી છે. યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ર્ટમેન્ટના લાફા કાંડની ગુંજ સમગ્ર ગુજરાતમાં ગુંજી છે. આ ઘટનાની તપાસમાં યુનિવર્સિટીના સત્તાધીશોના માથે ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. લાફાકાંડને પખવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી પણ ખરેખર વર્ગખંડમાં શું બન્યું હતું તેની સચ્ચાઈ રહસ્ય જ રહેવા પામી છે. ત્યારે નર્સિંગ કોલેજના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે એક જ વિષયમાં નાપાસ થવાનો મામલો વિવાદિત બન્યો છે.










