![]()
પીડબ્લ્યૂડીની બેદરકારીથી 6 ગ્રામ પંચાયતને હેરાનગતિ
૨૦૨૩માં કામ પૂર્ણ કરવા એલ.જી. ચૌધરી કંપનીને ૧૮.૮૦ કરોડના ખર્ચે ટેન્ડરથી કામ સોંપાયું હતું
કપડવંજ: કપડવંજથી ઘડિયા તરફનો રૂા. ૧૮.૮૦ કરોડના ખર્ચે બનનારો રોડ ત્રણ વર્ષ થવા છતાં અધૂરો જ રહ્યો છે. ત્યારે અહીંથી પસાર થતા અડધો ડઝન ગ્રામ પંચાયતના લોકો બિસ્માર રોડના કારણે હેરાનગતિ વેઠવા મજબૂર બન્યા છે.
કપડવંજથી ઘડિયા તરફના રોડનું કામ ૨૦૨૨માં શરૂ કરીને ૨૦૨૩માં પૂર્ણ કરવા એલ.જી. ચૌધરી કંપનીએ રૂા. ૧૮.૮૦ કરોડના ખર્ચે ટેન્ડર દ્વારા સોંપાયું હતું. ત્યારે અંદાજે ૩ કિ.મી.નો આરસીસી રોડ બનાવ્યા વગરનો અધૂરો મૂકી દેવાયો છે. આ રસ્તા પરથી પીરોજપુર, વઘાસ, લાડુજીના મુવાડા, જગડુપુર સહિતના ગામના ગ્રામજનો પસાર થતા હાલાકી ભોગવી રહ્યા છે. પીડબ્લ્યૂડી વિભાગની બેજવાબદારીના કારણે ત્રણ વર્ષ થવા છતાં આ રોડનું કામ અધૂરું રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
ત્યારે બે વર્ષ અગાઉ રોડના પેટા કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ સુસાઈટ નોટ લખી ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પીડબ્લ્યૂડીના અધિકારીઓની મીલિભગત અને નાણાકીય લેતીદેતીના લીધે રોડ અધૂરો રખાયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રસ્તાનું કામ ઝડપી પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.










