![]()
વડોદરા, તા.1 વડોદરાના રેશનિંગ દુકાનના સંચાલકોએ સરકાર દ્વારા અપાતા કમિશનમાં થતી અનિયમિતતા દૂર કરવાની માંગણી સહિત અન્ય મુદ્દાઓની સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ નહી આવતા રેશનિંગ ુદુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાની ૭૦૦ જેટલી દુકાનો આજે બંધ રહેતા લાભાર્થીઓને પુરવઠો મળી શક્યો ન હતો.
વડોદરાની રેશનિંગ દુકાનોના સંચાલકોએ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી. ગત એપ્રિલ માસ પહેલા મિનિમમ કમિશન નક્કી થયેલ રૃા.૨૦ હજાર ખાતામાં એક જ દિવસે જમા થતું હતું પરંતુ એપ્રિલ-૨૦૨૫થી કમિશનની રકમ છ ભાગમાં વિભાજિત કરીને અનિયમિત રીતે અલગ અલગ તારીખે અપાય છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓના પગાર અને ભથ્થા વધે છે પરંતુ અમારા કમિશનમાં કોઇ વધારો કરાતો નથી. અમારી પાસે કાર્ડધારકોને આપવાના જથ્થાના પૈસા સમય પહેલા ભરાવી દે છે જ્યારે મહિનાના અંત સુધી જથ્થો મોકલવામાં આવતો નથી.
દુકાનદારોએ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો નવેમ્બર માસથી અનાજ અમે ભરીશું નહી અને ગાંધી ચિધ્યા માર્ગે અસહકાર કરીશું તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ વડોદરા શહેર અને જિલ્લાની આશરે ૭૦૦ દુકાનોના સંચાલકોએ આજે દુકાનો બંધ રાખી હતી. અગાઉ દુકાનદારોએ ચલણ ભર્યુ ન હતુ જેના પગલે ચલણ જનરેટ નહી થતાં જથ્થો ઉપાડાયો ન હતો. બીજી બાજુ રેશનકાર્ડનું અનાજ મેળવતા લાભાર્થીઓને અનાજ નહી મળતાં સરકાર સફાળી જાગી છે અને દુકાનદારો સાથે બેઠકો કરી નિરાકરણ લાવવાનો પ્રયત્ન શરૃ કર્યો છે.
જિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે રેશનકાર્ડના સંચાલકોની જથ્થો નહી ઉપાડવાની ચીમકી વચ્ચે આજે સવાર સુધીમાં ૩૦ ટકા રેશનકાર્ડ દુકાનદારોએ ચલણ જનરેટ કરી પૈસા ભરી દીધા છે અને હવે દુકાનોમાં પુરવઠો પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે.










