![]()
અમદાવાદ,સોમવાર
રાજસ્થાનના સીકરના કુખ્યાત ગેંગસ્ટર અને બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગના સાગરિતો વિરૂદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ હત્યા, ખંડણી, આર્મસ એ્ક્ટ,પ્રોહીબીશનના કુલ ૧૮૧ જેટલા ગુના નોંધાયેલા છે. જે પૈકી ૨૩ જેટલા ગુના ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શરૂ કરવામાં આવેલા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો બીજો ગુનો નોંધાયો છે.
ગુજરાતના ગાંધીધામ, મહેસાણા, પંચમહાલ, ભાવનગર અને જામનગર જિલ્લામાં સગઠિત ગેંગ બનાવીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ સપ્લાય કરતી અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ (રૂપનગર, જિ. સીકર, રાજસ્થાન), તેનો સાગરિત પવનસિંહ મહેચ્છા ( બાડમેર, રાજસ્થાન), તૌફિકખાન નઝીરખાન ( ચુરૂ, રાજસ્થાન) અને કચ્છ રાપરનો પુના ભરવાડ તેમજ અન્ય લોકોએ ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરવાની કરવા માટે નેટવર્ક સેટ કરીને ટ્રક અને કન્ટેનરના બનાવટી રજીસ્ટ્રેશન નંબર અને બોગસ બિલ બનાવીને ૨૩ જેટલા મોટા ગુના આચરેલા હતા.
આ ઉપરાંત, અનિલ જાટ તેની ગેગના અન્ય સાગરિતો વિરૂદ્ધ રાજસ્થાનમાં મર્ડર, ખંડણી, સરકારી કર્મચારી પર હુમલો અને અન્ય ૫૨ ગુના નોઁધાયેલા છે. આ ઉપરાંત અન્ય સાગરિતો વિરૂદ્ધ નોંધાયેલા ગુના મળીને કુલ ૧૮૧થી ફરિયાદ નોંધાઇ છે. આમ, અનિલ જાટ માથાભારે ગેંગસ્ટર અને બુટલેગર હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયે ગુજસીટોકનો ગુનો નોેંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં સોમવારે એસએમસીના ગાંધીનગર સ્થિત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે એસએમસીના પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો આ બીજો નોંધવામાં આવ્યો છે.










