![]()
– ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી
– પાણીનો પ્રવાહ ચાલુ રહેતા શોધખોળમાં મુશ્કેલી : શુક્રવારે બપોરે ધારાસભ્યની સૂચના બાદ પ્રવાહ બંધ કરાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્રએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ રહેતા ૩૬ કલાક બાદ પણ મૃતદેહ હાથ લાગ્યા નથી. શુક્રવારે બપોરે ધારાસભ્યની સૂચના બાદ પ્રવાહ બંધ કરાયા બાદ પાણીના સ્તરમાં ઘટાડો થયો છે.
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા મહેશભાઈ ઠાકોર (ઉં.વ. ૩૫) અને તેમના પુત્ર દેવરાજ (ઉં.વ. ૯) એ ગુરુવારે સવારે ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ૩૬ કલાક બાદ પણ બંનેના મૃતદેહ મળ્યા નહોતા.
કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મૃતદેહ ન મળતા સ્થાનિકોએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરાને ફોન કરીને પાણીનો પ્રવાહ બંધ કરાવવા વિનંતી કરી હતી. શુક્રવારે બપોરે સ્થાનિક ધારાસભ્યની સૂચના બાદ નર્મદા વિભાગ દ્વારા પાણીનો પ્રવાહ બંધ કરાતા સ્તરમાં ઘટાડો થયો હતો, છતાં મૃતદેહ શોધવાની કામગીરી ચાલુ રહી હતી.










