![]()
– ડીએનો નવો દર જુલાઇ, 2025થી ચુકવવામાં આવશે
– 49.19 લાખ કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને લાભ થશે : સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 10,083 કરોડનો બોજ
– ઘઉંના ટેકાનો ભાવ ૬.૫૯ ટકા વધારીને ક્વિન્ટલ દીઠ 2585 રૂપિયા કરાયો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક ૧૦,૦૮૩.૯૬ કરોડ રૂપિયાનો બોજ પડશે.
જીએસટી દરોમાં ઘટાડાને પગલે ઘી, પનીર, માખણ, નમકીન, કેચપ, જામ, ડ્રાય ફ્રૂટ, કોફી, આઇસ્ક્રીમ, ટીવી, એસી, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ સસ્તી થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ડીએનો દર ૫૫ ટકા છે જે હવે વધીને ૫૮ ટકા થઇ જશે. ડીએનો નવો દર જુલાઇ, ૨૦૨૫થી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયથી ૪૯.૧૯ લાખ કર્મચારીઓ અને ૬૮.૭૨ લાખ પેન્શનરોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ અગાઉ માર્ચમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘંઉના ટેકાના ભાવ ૬.૫૯ ટકા વધારીને ક્વિન્ટલ દીઠ ૨૫૮૫ રૂપિયા કર્યો છે. ગયા વર્ષે આ ભાવ ૨૪૨૫ રૂપિયા હતો. એટલે કે ઘંઉના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ ૧૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટે કઠોળના ઉત્પાદનમાં ભારતને સ્વનિર્ભર બનાવવા માટે રૂ. ૧૧,૪૪૦ કરોડ રૂપિયાના ખર્ચ માટે ૬ વર્ષની કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૨૦૨૫-૨૬ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના ૨૦૨૫-૨૬થી ૨૦૩૦-૩૧ સુધી રહેશે.










