Gir Forest Lion Deaths: ગીરના જંગલોમાં સિંહોમાં ફેલાયેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને ‘બબેસિઓસિસ’ (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે થયેલા મોતના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાના દાવા અને ખુદ વન વિભાગના ઉચ્ચ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. વનમંત્રી એકતરફ વાઈરસ ન હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન અધિકારીની એક પોસ્ટે વન વિભાગની પોલ ખોલી નાખી છે.
વનમંત્રીનો દાવો: પરિસ્થિતિ અંકુશમાં, 17માંથી 12 સિંહો મુક્ત
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના મોત અંગે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું હતું કે ટૂંકા ગાળામાં 8 જેટલા સિંહબાળોના મોત થવા તે ચિંતાનો વિષય હતો. જોકે, તેમણે દાવો કર્યો કે, ‘અગાઉના સિંહોમાં ચિંતા કરી શકાય તેવો એકપણ પ્રકારનો વાઈરસ જોવા મળ્યો નથી.’
બીમાર સિંહો અંગે અર્જુન મોઢવાડિયાએ જમાવ્યું હતું કે, ‘ગંભીર હાલતમાં મળેલા 17 જેટલા બીમાર સિંહોને ક્વોરેન્ટાઇન કરીને સઘન સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 12 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ફરી જંગલમાં મુક્ત કરાયા છે, જ્યારે બાકીના 5 સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ ઉપરાંત, આખો વિસ્તાર જંતુમુક્ત કરવા 600 જેટલા સિંહોનું ડીવોર્મિંગ પણ કરાયું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં બીમારીથી કોઈ મોત થયું નથી.’
ગર્ભવતી સિંહણના મોતનું રહસ્ય અને ફોરેસ્ટરની બદલી
ગીર પૂર્વના લુવારીયા વિસ્તારમાં તાજેતરમાં જ એક ગર્ભવતી સિંહણનું મોત નીપજ્યું હતું. વનમંત્રીના જણાવ્યાનુસાર, સિંહણના શરીરમાંથી કોઈ વાઈરસ મળ્યા નથી અને તેનું મોત પ્રેગ્નન્સીના અન્ય કોઈ કોમ્પ્લિકેશનના કારણે થયું હોવાની સંભાવના છે. જોકે, સવાલ ત્યાં ઊભો થાય છે કે જો સિંહણનું મોત માત્ર શારીરિક કોમ્પ્લિકેશનના કારણે જ થયું હતું, તો પછી ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટરની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કેમ કરી દેવાઈ? આ આકરી કાર્યવાહી પાછળનું સાચું કારણ વનમંત્રી તરફથી હજુ અસ્પષ્ટ છે.

DCF વિકાસ યાદવની ફેસબુક પોસ્ટે ભાંડો ફોડ્યો!
સિંહોના મોતના આ વિવાદ વચ્ચે ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF) વિકાસ યાદવના સત્તાવાર ફેસબુક પેજ પરથી કરવામાં આવેલી એક પોસ્ટથી મોટો ખળભળાટ મચી ગયો છે. આ સત્તાવાર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ગીરમાં વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન, ખાપટ ગામ નજીક તંદુરસ્ત પાંચ સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ.’
એક તરફ સરકાર સિંહોના મોત પાછળ વાઈરસ હોવાનો ઇનકાર કરે છે, ત્યારે જવાબદાર DCFની પોસ્ટમાં જ ‘વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન’ તેવો ખુલ્લો સ્વીકાર કરવામાં આવતા વન વિભાગ બેકફૂટ પર આવી ગયું છે.
નિવૃત્ત જજ જયદેવ ધાધલની એન્ટ્રી અને વિવાદ
આ વિવાદે ત્યારે વધુ પકડ પકડી જ્યારે પર્યાવરણ નિષ્ણાંત અને જાણીતા સિંહપ્રેમી નિવૃત જજ જયદેવ ધાધલે આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને આકરી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે, ‘મતલબ કે ગીરમાં ‘વાઈરસ’ તો હતો જ… આપણે સૌ જાણીએ જ છીએ કે બેબેસિયા એ વાઈરસ નથી.’
નિવૃત જજની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આખરે DCF વિકાસ યાદવે પોતાની એ ફેસબુક પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવી પડી હતી (અથવા દબાણ હેઠળ ડિલીટ કરાવી દેવાઈ હતી).
રિપોર્ટ હજુ ગુપ્ત, પણ તંત્રની આડોડાઈ ખુલ્લી પડી
ઉલ્લેખનીય છે કે હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગે સિંહોના મોતના ચોક્કસ કારણો કે લેબોરેટરી રિપોર્ટ જાહેર કર્યા નથી. વનમંત્રી વાઈરસની વાત નકારતા રહ્યા, સ્થાનિક ફોરેસ્ટરની બદલી કરી દેવાઈ, અને હવે ઉચ્ચ અધિકારીએ ભૂલથી સોશિયલ મીડિયા પર સાચી વિગત પોસ્ટ કરીને ડિલીટ કરી નાખી. આ તમામ ઘટનાક્રમ સાબિત કરે છે કે ગીરમાં સિંહોના મોત પાછળ કંઈક એવું રહસ્ય ચોક્કસ છે જેને વન વિભાગ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.










