![]()
Gujarat Politics: રાજકારણ એ શતરંજની એવી રમત છે જ્યાં ‘વજીર’ પણ ક્યારે બાજી પલટી નાખે તે નક્કી નથી હોતું. હાલ ગુજરાતના રાજકીય ફલક પર ‘આમ આદમી પાર્ટી’ માટે કંઈક આવા જ ખતરાના વાદળો ઘેરાયા છે. સૂત્રોનું માનીએ તો, ભાજપ હવે કોંગ્રેસના જૂના પુરાણા કિલ્લાઓ છોડીને સીધા જ ‘ઝાડુ’ પકડનારા હાથો પર નિશાન સાધી રહ્યું છે. પંજાબમાં આપને સત્તાના શિખરે પહોંચાડી એ જ ‘ચાણક્ય’ સંદીપ પાઠક હવે ગુજરાતમાં ભાજપ માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થઈ શકે છે. સંદીપ પાઠકના ઈશારે ગુજરાત આપના ધારાસભ્ય પક્ષપલટો કરે તો નવાઈ નહીં.
આપના ધારાસભ્યની વિકેટ ખેરવશે
જે રીતે ભૂતકાળમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની વિકેટો ટપોટપ પડી હતી, તેવી જ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ હવે આપ પર તોળાઈ રહી છે. સૂત્રોના મતે, આપના ધારાસભ્યો અને નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરવા માટે અંદરખાને સજ્જ છે.
અત્યાર સુધી આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં મુલાકાતો પર મુલાકાતો કરી રહ્યા હતા. પરંતુ ભાજપના નવા વ્યુહ બાદ તેમના આ આંટાફેરા પર બ્રેક લાગી શકે છે. ભાજપે એવી જાળ બિછાવી છે કે કેજરીવાલ બહાર મિત્રો શોધતા રહી જશે અને તેમના ઘરના જ સભ્યો ‘કમળ’ના શરણે પહોંચી જશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો
‘ઝાડુ’ને વેરવિખેર કરવા ભાજપની વ્યૂહનીતિ
એકાદ સપ્તાહ પહેલાં જ આપના ખેડૂત નેતા સાગર રબારીએ પણ આપને અલવિદા કહી દીધું છે. તે પહેલાં આપના યુવા નેતા રાજૂ કરપડાએ પણ રાજીનામું ધરી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ગુજરાતમાં આપને સંગઠનાત્મક રીતે મજબૂત કરવામાં સંદીપ પાઠકની મુખ્ય ભૂમિકા રહી છે. હવે સંદીપ પાઠકે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. બંગાળમાં જીત હાંસલ કર્યા બાદ ભાજપના નિશાને ગુજરાત આપ છે. તે જોતાં સંદીપ પાઠક જ આપના ધારાસભ્યોની વિકેટ ખેરવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આપ ભાજપની જીતમાં અવરોધ બને તે પહેલાં જ ‘ઝાડુ’ને વેરવિખેર કરવા ભાજપે અંદરખાને વ્યૂહનીતિ તૈયાર કરી છે.
ઈટાલિયા અને ઈશુદાન વચ્ચે રાજકીય લડાઈ ‘આપ’ને ડૂબાડશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની સરખામણીએ સારું ચૂંટણી પ્રદર્શન કર્યું છે પણ પક્ષની વર્તમાન સ્થિતિ ડગુમગુ છે તેનું કારણ એ છે કે, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પક્ષ પર વર્ચસ્વ જમાવવા ખેંચતાણ કરી રહ્યા છે જેના કારણે ઘણાંએ તો પાર્ટીને જ અલવિદા કહી દીધું છે. ચૂંટણી વખતે પણ માનીતાઓને ટિકિટ આપવા માટે આંતરિક વિખવાદે પક્ષની શિસ્ત સામે સવાલો ઊભા કર્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં પોતાની મજબૂત પકડને કારણે અલગ રીતે ઉભરી આવ્યા છે. બાકી આપનામાં કશું રહ્યું નથી. ઈટાલિયા-ઈશુદાન વચ્ચેની આંતરિક લડાઈ જ આપને લઈને ડૂબશે તેવું કાર્યકરો જ કહી રહ્યા છે.










