![]()
Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરમાં વિકાસ કાર્યોના નામે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદના બદલે માથાનો દુ:ખાવો બની ગયા છે. ચોમાસું હવે નજીક છે અને શાળાઓ પણ શરૂ થવાને આરે છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે નાગરિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
ખરાબ રસ્તાઓ બન્યા આફત
ગોધરાના અનેક રહેણાંક અને મુખ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓ ખોદીને એમ જ છોડી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વેકેશન પૂર્ણ થવા આવ્યું છે અને નવી શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીમાં છે. તેવામાં ખોદાયેલા રસ્તાઓ અને ખુલ્લી ગટરોને કારણે શાળાએ જતા નાના બાળકો અને વાલીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર વાતો થતી હોય તેમ લાગી રહ્યું છે. જો સામાન્ય વરસાદ પણ પડશે, તો આ ખોદાયેલા રસ્તાઓમાં પાણી ભરાઈ જશે. પરિણામે, કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાશે, મચ્છરોનો ઉપદ્રવ વધશે અને વાહનચાલકો સ્લિપ થવાના કારણે મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ પ્રબળ બની છે. તંત્રની ધીમી અને આયોજન વગરની કામગીરીથી કંટાળીને હવે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ કેવો વિકાસ છે જેમાં લોકોને સુવિધાના બદલે માત્ર મુશ્કેલીઓ જ મળી રહી છે?
તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આખરે લોકોએ પોતાના રોજિંદા આવાગમન માટે પોતાના જ ખર્ચે પથ્થરો કે માટી નાખીને કામચલાઉ વ્યવસ્થા કરવી પડી રહી છે. જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું, તે હજુ પણ અધૂરું લટકી રહ્યું છે.’
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત
ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા ઉગ્ર માંગ
ગોધરાના નાગરિકો અને વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા તંત્ર સમક્ષ એક જ સુરક્ષિત અને ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં યુદ્ધના ધોરણે તમામ અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટી જાનહાની કે હોનારત સર્જાતી અટકાવી શકાય.







