![]()
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકોના તો ઠીક પણ જ્ઞાાન સહાયકોના પણ ફાંફા પડી રહ્યા છે.શૈક્ષણિક વર્ષ શરુ થયા બાદ શિક્ષણ વિભાગે જ્ઞાાન સહાયકોની નિમણૂક માટે આદેશ આપ્યા બાદ વડોદરા શહેર જિલ્લામાં ૧૭૦ જેટલી ખાલી જગ્યાઓ સામે ૧૪૦ જેટલા ઓર્ડર કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક સૂત્રોમાંથી મળતી જાણકારી પ્રમાણે ગત વર્ષે જે શિક્ષકોને જ્ઞાાન સહાયક તરીકે ઓર્ડર અપાયા હતા તેમના જ ઓર્ડર રિન્યૂ કરી દેવાયા છે.જોકે આ પૈકી કેટલા શિક્ષકો હાજર થશે તે એક સવાલ છે.કારણકે અગાઉ શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભણાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાતી હતી.આ માટે શાળા સંચાલકો સ્થાનિક ઉમેદવારને જ પસંદ કરીને ડીઈઓ કચેરી અને સરકારની મંજૂરી લેતા હતા.તેમને એક લેકચર દીઠ મહેતનાણું અપાતું હતું.હવે ૧૧ મહિનાના કોન્ટ્રાકટ આધારિત જ્ઞાાન સહાયકોની નિમણૂક કરવામાં આવે છે.એક આચાર્યે કહ્યું હતું કે, સમસ્યા એ છે કે, જ્ઞાાન સહાયકોની પસંદગી શિક્ષણ વિભાગ ટેટ પાસ થયેલા ઉમેદવારોમાંથી મેરિટના આધારે કરે છે.એટલે જ્ઞાાન સહાયક તરીકે નિમણૂક થયેલા ઘણા ઉમેદવારો અન્ય જિલ્લાના હોય છે.૨૬૦૦૦ રુપિયા સુધી પગાર અને કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક હોવાથી બહારગામના ઘણા ઉમેદવારોને અન્ય શહેરમાં રહેવાનું પોસાતું નથી હોતું અને તેઓ નોકરી છોડી દેતા હોય છે.આમ સરકારે જ્ઞાાન સહાયકોની નિમણૂક કરવાની સત્તા શાળા સંચાલક મંડળને આપવી જોઈએ.










