![]()
– વિક્રમી ભાવને ધ્યાનમાં રાખીને ઊંચા ભાવ વચ્ચે વપરાશકારોને છેતરાતા અટકાવવા પગલાં લેવા ઉદ્યોગની માગ
– હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા પહેલા નિયમનકારી તથા માળખાકીય આવશ્યકતાઓનો બીઆઈએસ અંદાજ મેળવી લેવા માગે છે
મુંબઈ : ચાંદીના વિક્રમી ભાવને ધ્યાનમાં રાખી ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગ પદ્ધતિ હેઠળ આવરી લેવા સરકાર વિચારી રહી છે. આ કિંમતી ધાતુના ખરીદદારોની સલામતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપ આ વિચારણા થઈ રહી છે, એમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાડર્ડસ (બીઆઈએસ)ના સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં ચાંદીના હોલમાર્ક સ્વૈચ્છીક છે જ્યારે સોના પર હોલમાર્ક ફરજિયાત છે. ચાંદીના હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા ઉદ્યોગ તરફથી જ માગણી કરવામાં આવી છે.
હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા પહેલા નિયમનકારી તથા માળખાકીય આવશ્યકતાઓનો બીઆઈએસ અંદાજ મેળવી લેવા માગે છે.
ચાંદીની શુદ્ધતા તપાસવા માટેની ક્ષમતા તથા તેની પરખના ધોરણો પણ ચકાસવાના રહેશે. હાલની સ્વૈચ્છીક પદ્ધતિ હેઠળ હોલમાર્ક કરાયેલા ચાંદીની ચીજવસ્તુઓ પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર હોય છે, જેના આધારે ખરીદદાર બીઆઈએસના ડેટાબેઝ મારફત જે તે ચાંદીની શુદ્ધતા ચકાસી શકે છે.
તાજેતરમાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તેની માગ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ચાંદીની શુદ્ધતા મહત્વની બની રહે છે અન્યથા ખરીદદારો સામે છેતરાઈ જવાના જોખમ રહેલા છે, એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
સોનામાં હોલમાર્કિગને ફરજિયાત બનાવાયા બાદ તેમાં થયેલા અનુભવોનો હાલમાં અભ્યાસ થઈ રહ્યો છે અને કોઈપણ ક્ષતિઓ જણાશે તો તેને દૂર કરાશે અને પછી જ ચાંદી બાબતે નિર્ણય લેવાશે, એમ બીઆઈએસના સુત્રોએ ઉમેર્યું હતું.
વિશ્વમાં ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે. સોનાની ૭૫૦થી ૮૦૦ ટન સામે ચાંદીની વાર્ષિક માગ ભારતમાં ૬૦૦૦થી ૭૦૦૦ ટનની વચ્ચે જોવા મળે છે.
ભારતે પોતાની ચાંદીની માગને પહોંચી વળવા મોટેપાયે આયાત કરવી પડે છે.
ચાંદીમાં હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાનો મુદ્દો હાલમાં પ્રાથમિક તબક્કામાં છે અને તેના પર હિસ્સેદારોના મત મેળવાયા બાદ જ ચોક્કસ નિર્ણય લેવાશે એમ બીઆઈએસના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.










