![]()
– દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘વોટ ચોર ગદ્દી છોડ’ રેલી
– ગાંધીજીના સત્ય-અહિંસાને સાથે રાખીને મોદી, અમિત શાહ, આરએસએસ સરકારને સત્તામાંથી હટાવીશું : કોંગ્રેસ નેતા
– ભાજપ પર લોકોને વિશ્વાસ નથી, બેલેટ પેપરથી ચૂંટણી લડે તો હારી જાય : પ્રિયંકા
નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે ભાજપ અને નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વોટ ચોર ગદ્દી છોડ નામની રેલી યોજી હતી. આ રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. વોટ ચોરી વિરુદ્ધની આ રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને આરએસએસની સરકારને સત્તામાંથી ઉખાડી ફેકીશું. ચોરી કરવી ભાજપના ડીએનએમાં છે, તેણે જમીન, લોકોના અધિકારો, મત, રોજગારી, રૂપિયા બધુ ચોરી લીધુ છે.
વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર, કમિશનરો સુખબીર સંધુ, વિવેક જોશી આ ત્રણેય ભાજપની તરફેણમાં કામ કરતા હોવાનો આરોપ રાહુલ ગાંધીએ આ રેલીમાં લગાવ્યો હતો.સાથે જ કહ્યું હતું કે જ્યારે સત્તામાં આવીશું ત્યારે આ ત્રણેય સામે કાર્યવાહી કરીશું. ચૂંટણી સમયે ભાજપે મતદારોના બેંક ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા છતા પણ ચૂંટણી પંચે કોઇ જ કાર્યવાહી ના કરી. અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે અહિંસા અને સત્યને સાથે રાખીને કામ કરીશું. લોકસભામાં વોટ ચોરી અંગે મે જે સવાલો ઉઠાવ્યા હતા તેનો જવાબ આપતી વખતે ગૃહમંત્રી અમિત શાહ ડરેલા જોવા મળ્યા હતા. ચોરી કરવી ભાજપના ડીએનએમાં છે, રૂપિયા, જમીન, સંસ્થાઓ, લોકોના અધિકારો, રોજગારી, લોકોના મત આ તમામની ભાજપે ચોરી કરી છે.
રાહુલે વધુમાં કહ્યું હતું કે અમિત શાહ સંસદમાં ધુ્રજતા હાથોએ ચૂંટણી પંચ માટે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા, મે તેમને મારી પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
પ્રિયંકા ગાંધીએ ભાજપને બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, રેલીને સંબોધતા પ્રિયંકાએ કહ્યું હતું કે હું ભાજપને પડકાર ફેંકું છું કે તેઓ પેલેટ પેપરથી ચૂંટણી લડીને બતાવે, ભાજપને પુરી ખાતરી છે કે જો બેલેટ પેપરથી ચૂંટણી કરાવશે તો તે ક્યારેય ચૂંટણી નહીં જીતી શકે.
બિહારમાં આચાર સંહિતા લાગુ હોવા છતા ભાજપે મહિલાઓના બેંક ખાતામાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાષણ આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભાજપ ગદ્દાર, ડ્રામેબાઝ છે, તેને સત્તામાંથી દૂર કરવી જરૂરી છે. પુત્રનુ બેંગલુરુમાં ઓપરેશન હતંુ, પરંતુ મે આ દેશના ૧૪૦ કરોડ લોકોને બચાવવા માટે યોજાયેલી આ રેલીમાં આવવાનું પસંદ કર્યંુ. આ રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા લાગ્યા હતા.
– કોંગ્રેસે મોદીને 150 વખત અપશબ્દો કહ્યા : ભાજપ
ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસનો એજન્ડા સ્પષ્ટ થઇ ગયો છે, તેઓ એસઆઇઆરની વાત નથી કરતા, એસઆઇઆરના નામ પર મોદીને હટાવવા માગે છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ધમકી આપી હતી. કોંગ્રેસ ૧૫૦થી વધુ વખત પીએમ મોદીને ગાળો આપી ચુકી છે. પૂનાવાલાએ એક વીડિયો શેર કર્યો હતો જે કોંગ્રેસની રેલીનો હોવાનો દાવો તેમણે કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક શબ્દો બોલવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મોદી તેરી કબર ખુદેગીના નારા લગાવતી જોવા મળી રહી છે. ભાજપે આ વીડિયોને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.










