![]()
– ગત વર્ષે રવિ પાકમાં 1.26 લાખ ટનથી વધુની ઉપજ હતી
– આગામી 15 દિવસમાં રોપની અને ખરીફની ડુંગળી બજારમાં વેચાવા આવશે તો ઘણા રોપ રવિપાક માટે સાચવશે
ભાવનગર : ભાવનગર જિલ્લામાં રવિ ડુંગળીનું વ્યાપક વાવેતરની સાથે ખરીફ પાકની હાલ ચાલુ સીઝનની ડુંગળીનું કુલ ૧૬૪૨ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જેની ઉપજનો અંદાજ ૪૭,૬૩૨ મે. ટનનો મંડાયો છે. જો કે, હાલ મહુવા માર્કેટમાં વેચવા આવી રહેલ ત્રણથી ચાર હજાર ગુણીએ ગત રવિ પાકની સંગ્રહની હોવાનું જણાયું છે. જ્યારે આગામી ૧૫ દિવસમાં આ ખરીફ પાકની ડુંગળીનું વેચાણ શરૂ થશે. જો કે, ડુંગળી પકવતા ખેડૂતો એક વિઘે ઉત્પાદન ખર્ચ પેટે ૬૫૦૦૦નો ખર્ચ થતો હોવાનું ખેડૂત આગેવાને જણાવ્યું છે. જ્યારે તેને સાચવી માર્કેટ સુધી પહોંચે ત્યારે મુળ પડતર ૨૦૦ને વટી જાય છે. પરંતુ ભાવ ૮૧થી ૨૬૨ નજીકના મળે છે.
ભાવનગરનું મહુવા, તળાજા સહિતના તાલુકા ડુંગળી ઉત્પાદન માટે સ્વાભાવિક મોખરે રહ્યા છે અને હાલ મહુવા યાર્ડમાં ૮૧થી ૨૬૨ નજીકના ભાવે ત્રણથી ચાર હજાર ગુણીની આવક નોંધાય છે. જો કે, આ વેચાણ થતી ડુંગળી રવિ પાકની છે. જે ગત જાન્યુઆરીનું વાવેતર અને એપ્રિલનો ઉતારો હોય જ્યારે ચાર-પાંચ મહિના મેડામાં સંગ્રહ કરી હાલ વેચાણ માટે લવાય છે. જો કે, આ ડુંગળી રોપવાથી માંડી પકવી સંગ્રહ કરી માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ એક મણે ૨૮૦થી ૩૦૦ સુધીનો થતો હોવાનો અંદાજ ખેડૂત આગેવાને વ્યક્ત કર્યો છે. જ્યારે વેચાણના ભાવ પણ તળીયે રહેતા આટલી મજુરી બાદ પણ પુરતા ભાવ આવતા ન હોવાનો કકળાટ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ચોમાસામાં ડુંગળી વાવેતરના આંકડા જોતા ભાવનગર જિલ્લામાં ૧૬૪૨ હેક્ટરમાં ડુંગળી વાવેતર થયું છે અને આ ખરીફ ડુંગળીનું ઉત્પાદન ૪૭૬૩૨ મે. ટન થવાનો અંદાજ સેવાય રહ્યો છે. જો કે, આ ખરીફ ડુંગળી એ રોપમાં ઉપયોગી હોય છે અને લાંબો સમય સારી નહીં રહેતા વેચાણ પણ તાત્કાલીક કરવું પડે છે. આગામી ૧૫ દિવસમાં આ ખરીફ ડુંગળી માર્કેટમાં વેચાણ અર્થે આવશે તો સાથો સાથ આ રોપની ડુંગળીનો સાચો ઉપયોગ રવિ શિયાળુ પાકમાં કરાશે. ગત વર્ષે રવિ શિયાળુમાં ૧.૨૬ લાખ ટનથી વધુની ઉપજ નોંધાઇ છે જે ૪૦૮૨૮ હેક્ટરનું વાવેતર હતું. જ્યારે આગામી શિયાળુ સિઝનમાં આ વાવેતર કેટલું થાય છે તે જોવું રહ્યું.
ટેરીફના 50 ટકા મારથી ડુંગળીની નિકાસ પર પણ મોટો ફટકો
૫૦ ટકા ટેરીફના કારણે સ્થાનિક ઉત્પાદન ખર્ચ, સંગ્રહ ખર્ચ અને તેના નિયત ભાવ પર ટેરીફની ટકાવારીનો ખર્ચ બાદ કરતા ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવે છે. ખેડૂત આગેવાન ભરતભાઇના જણાવ્યા પ્રમાણે એક વીઘે ૬૫૦૦૦નો ખર્ચ થાય છે જેમાં સરેરાશ ૨૦૮ મણનો ઉતારો આવે છે. જ્યારે તેને સાચવવા અઢી મણે ૬૦થી ૮૦નું મેડા ભાડુ, વાહન ખર્ચ, બારદાન, મજુરી ગણતા મોટાભાગે મુળગી વપરાયેલ રકમ પણ ખેડૂતોના હાથમાં આવતી નથી અને વધારામાં ટેરીફના કારણે વધુ ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.










