![]()
સરકારના GST વિભાગને આવી ગંભીરતા ધ્યાન પર નથી આવતી : રોપ-વે મારફત લોકોની હેરફેર કરવાની સર્વિસ પૂરી પાડવાનો જરૂરી એચએસએન તો આ કંપની પાસે છે જ નહીં
જૂનાગઢ : જૂનાગઢમાં ચાલતી રોપવે કંપની દ્વારા સરકાર અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. રોપવે ચલાવવા માટે જીએસટી વિભાગનો લેવો પડતો એચએસએન કોડ લીધેલો નથી અને ટિકિટની અંદર જે એચએસએન લખવામાં આવ્યો છે તે એચએસએન રોપવે કંપનીને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો પણ નથી, જેથી રોપવે કંપની ટિકિટની અંદર એચએસએન નંબર ખોટો દર્શાવે છે અને ખરેખર જે નંબર રોપવે માટે સરકારે નક્કી કરેલો છે તે એચએસએન નંબર કંપની પાસે છે જ નહીં. ખોટા એચએસએન નંબર દર્શાવી જીએસટી ચોરીનું કૌભાંડ કરવામાં આવતું હોવાની આશંકા છે. જીએસટી ચોરીનું કૌભાંડ અનેકવાર સામે આવે છે પરંતુ આ કૌભાંડમાં મોટાભાગે નાની માછલીઓ પકડાય છે અને મોટા મગરમચ્છો છટકી જાય છે તેવી જ શંકાસ્પદ સ્થિતિ જૂનાગઢમાં સામે આવી છે.
ગિરનાર પર રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ખુલ્લેઆમ સરકારની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી હોવાની શંકાસ્પદ બાબત સામે આવી છે. કોઈપણ વ્યક્તિ રોપ-વેમાં જવા માટે ટિકિટ લે તે ટિકિટમાં જીએસટી વિભાગના જે એચએસએન નંબર લખવામાં આવી રહ્યા છે તે નંબર ઉષા બ્રેકો કંપની પાસે છે જ નહીં. રોપ-વે કંપની પોતાના ટિકિટ દરમાં આવા ખોટા એચએસએન નંબર લખી ટેક્સની ચોરી કરતી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. સરકારના જીએસટી વિભાગ દ્વારા રોપવે મારફત લોકોની હેરફેર કરવા તથા માલ સામાનની હેરફેર કરવા માટે અલગ અલગ એચએસએન નક્કી કરવામાં આવ્યા છે, જે રોપ-વે કંપનીએ ફરજિયાત પણે લેવા જરૂરી છે. આજદિન સુધી રોપવે કંપનીએ લોકોની હેરાફેરી કરતી હોવા છતાં રોપ-વે સવસીસ માટેનો જે એચએસએન છે તે લીધો જ નથી.










