![]()
India–Russia Relations: ભારતમાં ક્રૂડ ઓઈલનો વપરાશ હાલમાં વિશ્વમાં સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. જ્યારે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે, ક્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશું તે અમારા પર નિર્ભર છે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું કે, ‘ભારતીય કંપનીઓ જ્યાંથી પણ વધુ સારી ડીલ મળશે ત્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશે.’
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપણે ખોટો નિર્ણય
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ભારતીય વિનયે કુમારે કહ્યું ‘ભારત 1.4 અબજ લોકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ પછી પણ સરકાર ભારતીયોના હિતોની સેવા કરવાથી પાછળ હટશે નહીં અને હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે.’
ભારત સરકારના વલણને સ્પષ્ટ કરતા વિનયે કુમારે કહ્યું, ‘ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે અમારું લક્ષ્ય ભારતના 1.4 અબજ લોકોની ઉર્જા જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું છે. આપણે રશિયા અને અન્ય ઘણાં દેશો સાથે મળીને વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરવી પડશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપણે અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય છે. અમારી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં હોય તેવું કોઈપણ પગલું ભરવામાં અચકાશે નહીં.’
ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું કે ‘દુનિયામાં કોઈપણ વેપાર સારી ડીલ અને આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. તેથી વધુ સારી ડીલ અને આયાતની દ્રષ્ટિએ જે યોગ્ય હશે તે કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રૂડ કંપનીઓ જ્યાંથી પણ સારી ડીલ મળી રહી છે, ત્યાંથી ખરીદી કરવાનું ચાલુ રાખશે. આ વર્તમાન પરિસ્થિતિ છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર પરસ્પર સમજણ અને બંને બાજુના લોકોની સામાન્ય લાગણીઓ પર આધારિત છે. આ બંને દેશોના ભલા માટે છે અને તે બજારથી સંપૂર્ણપણે ઉપર પણ છે.’
ભારતનું વલણ સ્પષ્ટ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે અમારી વેપાર નીતિ, ખેડૂતોના હિતો અને સાર્વભૌમત્ત્વ પર કોઈપણ સમાધાન સ્વીકારીશું નહીં. સરકાર આ હિતોને પૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડશે તે કરશે.’










