![]()
અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોના મતે આ ટેરિફ ટેરર ભારતીય બેંકો અને એમએસએમઈ ક્ષેત્રને સીધી અસર કરી શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે ચેતવણી આપી છે કે ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે લોન ચૂકવણી મુશ્કેલ બની શકે છે.
ટેરિફ વધતા નાના એકમોની કમાણી અને નિકાસ બંને પર દબાણ આવવાની અપેક્ષા છે અને તેના કારણે લોન પરત ચૂકવણીમાં વિલંબ વધતા બેંકોની એનપીએમાં વધારો થવાનું જોખમ વધ્યું છે.
ક્રિસિલના અહેવાલ મુજબ એમએસએમઈ સેક્ટરમાં એનપીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯ ટકા સુધી વધી શકે છે, જે ૨૦૨૪-૨૫ના અંતમાં ૩.૫૯ ટકા હતી. એનપીએમાં આ વધારો મુખ્યત્વે ભારતીય નિકાસ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા સુધીના ટેરિફને કારણે થશે.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર કાપડ, વસ્ત્રો, કાર્પેટ, રત્નો અને ઘરેણાં અને પ્રોસેસ્ડ સીફૂડ જેવા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે. આ ઉદ્યોગો અમેરિકામાં નોંધપાત્ર નિકાસ કરે છે, તેથી આ ક્ષેત્રોમાં દેવાની વસૂલાતનું જોખમ વધી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે સ્થાનિક યુએસ ઉદ્યોગોને સુરક્ષિત કરવાના નામે ભારત સહિત અનેક દેશો પર વધારાના ટેક્સ લાદ્યા છે.
ભારતની રશિયાથી તેલની આયાત ચાલુ રહેતા ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવ્યો છે અને આમ કુલ ટેરિફ ૫૦ ટકા થયો છે. ભારતની અંદાજે ૬૦ અબજ ડોલરની નિકાસ પર અસર થવાની શક્યતા છે.










