![]()
– નેશનલ હાઈવે નં. 48 પર અકસ્માત
– સારવાર અર્થે લઈ જતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા : પોલીસે ફરિયાદ નોંધી
નડિયાદ : નેશનલ હાઇવે નંબર ૪૮ ડભાણ સીમ નજીક ગુરૂવારની રાત્રે ચાલતા જતા વૃદ્ધને એસટી બસે ટક્કર મારતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વસો તાલુકાના દંતાલી ભુપત તલાવડી વિસ્તારમાં રહેતા બબુભાઈ ભાથીભાઈ પરમાર ડ્રમ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. તેઓ ગુરૂવારે સાંજે નેશનલ હાઈવે નંબર ૪૮ પર ચાલતા નોકરી પર જતા હતા. આ દરમિયાન આરસી મિશન સ્કૂલ ડભાણ નજીક નડિયાદથી ખેડા તરફ જતી એસટી બસે બબુભાઈ પરમાર (ઉં. વ. ૫૮)ને ટક્કર મારતા તેમને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઇ હતી. જેથી તેઓને તુરંત જ ૧૦૮માં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે શૈલેષભાઈ બબુભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા એસટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.










