![]()
રાજપીપળા, નાંદોદ (હાલ ગરૃડેશ્વર) તાલુકાના બખર ગામની જમીનની નોંધ મંજૂર કરવામાં નિયમો નેવે મૂકીને સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન કરવાના કેસમાં પકડાયેલા તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ કેસની સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સરકારી સત્તાનો ખોટો ઉપયોગ કરીને રાજ્ય સરકારને ૧.૨૯ કરોડનું આથક નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાતા અદાલતે ૮ મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબ, આ પ્રકરણમાં અગાઉ રદ્દ થઈ ચૂકેલી નોંધને જ ફરીથી મંજૂર કરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
નાંદોદમાં ફરજ બજાવતા તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા ( હાલ રહે. અમદાવાદ, મૂળ રહે.વડનગર, મહેસાણા) એ જ્યોતિન્દ્ર પટેલના જન્મજાત ખેડૂતના પુરાવાઓની ચકાસણી કર્યા વગર જ તા. ૧૦-૧૨-૨૦૦૮ ના રોજ આ નોંધ મંજૂર કરી હતી. ત્યારબાદ જ્યોતિન્દ્ર પટેલે તારીખ તા.૨૫-૦૩-૨૦૧૦ ના રોજ આ જમીન કાંતિલાલ રામસ્વરૃપ શાહને વેચી દીધી હતી. આજે રિમાન્ડ પૂરા થતા આર.બી.પખાવાલાને કોર્ટમાં રજૂ કરાતા જામીન અરજીની સુનાવણી મુલતવી રહેતા જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
ઘટનાની તપાસ માટે સીટની રચના થઇ હતી
રાજપીપળા,
આ ઘટના અંગે મહેસૂલ વિભાગમાં ફરિયાદો થતા તપાસ માટે સીટ બનાવવામાં આવી હતી. તેમજ નર્મદા કલેક્ટરને તપાસ કરવા કહ્યું હતું. આ જમીનની તમામ નોંધો રદ કરી જ્યોતિન્દ્ર પટેલને ૭૩.૯૩ લાખ અને કાંતિલાલ શાહને ૫૫.૪૫ લાખનો દંડ કર્યો હતો.
જમીનનો સોદો કરનાર પણ આ કેસમાં આરોપી બન્યા
રાજપીપળા,
રાજપીપળા ડેપ્યુટી કલેક્ટરની તપાસ અને કલેક્ટર નર્મદાના અહેવાલના આધારે, ગરૃડેશ્વરના મામલતદાર જયંતીલાલ વશરામભાઈ વૈષ્ણવે રોહિત બાબુલાલ પખાવાલા તથા જમીનનો સોદો કરનાર જ્યોતિન્દ્ર શાંતિલાલ પટેલ અને કાંતિલાલ રામસ્વરૃપ શાહ સામે સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાઇ છે.










