![]()
કટારિયા ચોકડી પાસેના મોદીનગરની ઘટના
કુલ નવ શખ્સો સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ: કટારીયા ચોકડી નજીકની લક્ષ્મી નારાયણ સોસાયટી પાસે આવેલા મોદીનગરમાં રહેતા અને મનપામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં જોશનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.૨૮)ના પાલતુ શ્વાને એક શખ્સને બટકુ ભરતાં થયેલી માથાકૂટના કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો અને પથ્થરમારો કર્યો હતો.જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં જોશનાબેને જણાવ્યું છે કે તેના ઘરની બાજુમાં તેની જ્ઞાાતિના માણસોનો વંડો છે. જ્યાં બેસતા માણસો ઘણીવાર તેના ઘરે પીવા માટે પાણી લઇ જતા હોય છે. તે જ રીતે એક છોકરો તેના ઘરે પાણી પીવા માટે આવતા તેનો પાલતુ શ્વાન દોડતા તે છોકરો ભાગી ગયો હતો. જેથી તે અને પરિવારના સભ્યો ઘરની બહાર આવી તે છોકરાને પૂછ્યા વગર કેમ ઘરમાં આવ્યો તેમ કહી સમજાવટ કરી હતી.
તે વખતે તે છોકરાએ કહ્યું કે હું પાણી લેવા આવ્યો હતો અને તમારા શ્વાને મને બટકુ ભર્યું છે. જેથી જોતાં હાથના ભાગે ઉઝરડા પડી ગયા હતાં. જેથી તેણે કહ્યું કે આમાં ઇન્જેકશન નહીં લેવું પડે, કારણ કે અમે અમારા શ્વાનને ઇન્જેકશન અપાવ્યું છે. તે સાથે જ તે છોકરાએ ઉશ્કેરાઇ જઇ રામભાઈ સોલંકી, તુફાન બાબરીયા, લાલુભાઈ મૈયડાને જાણ કરતા તેમણે કોલ કરતાં અજાણ્યા છ શખ્સો બે ફોર વ્હીલર કારમાં ધસી આવ્યા હતાં.
ધોકા સાથે આવેલા આ શખ્સોએ તેના અને પતિ ઉપર હુમલાનો પ્રયાસ કરતાં બંને ઘરમાં જતા રહ્યા હતાં. ત્યાર પછી આ શખ્સોએ તેના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં બેફામ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોસાયટીના માણસો ભેગા થઇ જતાં તમામ શખ્સો જતા રહ્યા હતાં. પથ્થરમારામાં તેને અને તેના પતિને મૂંઢ ઇજા થઇ હતી.










