![]()
– શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ
– છરીના ઘા ઝિંકી હત્યા કરનારા ચાર શખ્સ સામે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવી
ભાવનગર : ભાવનગર શહેરમાં ત્રેવડી હત્યાના પડઘા શમ્યા નથી તેવામાં શહેરના કરચલીયા પરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં રૂપિયાની લેતી-દેતી મામલે યુવાનને તેના મિત્રો એ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના કરચલિયાપરા રૂખડિયા હનુમાન મંદિર પાછળ પોપટનગર રામાપીરના મંદિર પાછળ રહેતા મોહિતભાઈ ઉર્ફે એમ.કે બટુકભાઈ ટેભાણીને તેના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા સાથે પૈસાની લેતી દેતી થતી હતી. દરમિયાનમાં ગઈકાલ તા.૨૫ નવેમ્બર ૨૦૨૫ના રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાના સુમારે પોપટનગર જવાના રસ્તે મોહિતભાઈ ઉર્ફે એમ.કે બટુકભાઈ ટેભાણી અને તેના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા (૨હે-કરચલીયા પરા ધનાનગર, ભાવનગર), કિશન ઉર્ફે કાળા કોથમરી (રહે-ખેડુતવાસ ભાવનગર), રામ ઉર્ફે કાળીયો (રહે-ઉલાસ રૂવાપરી રોડ, ભાવનગર), આર્યન બારૈયા (રહે-ટેકરી ચોક, પાસે ભાવનગર) વચ્ચે પૈસા બાબતે બોલા ચાલી થઈ ગઈ હતી. જોત જોતામાં વાત વણસી હતી અને ચારેય શખ્સે મોહિત ઉર્ફે એમ કે ને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તિક્ષ્ણ હથિયારના ઘા દીધા હતા. મોહિત ઉર્ફે એમકે લોહી લુહાણ હાલતે રસ્તામાં જ ઢળી પડયો હતો અને ચારેય ઈસમો મોહિતને લોહીના ખાબોચિયામાં ટળવળતો મૂકી નાસી છૂટયા હતા. આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સ મારફતે મોહિતને ભાવનગરની સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા મહેશભાઈ બટુકભાઈ ટેભાણીએ ચાર શખ્સ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










