![]()
અંગ્રેજ શાસનના તપતા સૂરજ વચ્ચે પત્રકાર, કવિ, લેખક, ડે.કલેક્ટર એવા કવિ : વંદે માતરમ્ 1882ના આનંદમઠ પૂસ્તકમાં લખાયું : ભારતમાં પ્રાચીન : વેદકાળથી પૃથ્વીને માતા કહેવાય છે : બિનસાંપ્રદાયિક સરકારે આ ગીતના પ્રથમ બે પદને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી, તેમાં વ્યક્તિની નહીં,ભારત માતાની ભક્તિ
રાજકોટ, : ભારતમાં જ્યારે બ્રિટીશરોના શાસનનો ચમકતો સૂરજ હતો તે સમયમાં સરકારી કાર્યક્રમોમાં ગોડ સેવ ધ ક્વીન ગીત ગવાતું હતું પરંતુ, એક સરકારી અફ્સર કે જે નોકરી તો અંગ્રેજ શાસનની કરતા હતા પરંતુ, આત્મા અને વિચાર સ્વતંત્ર હતા તેમને આ રૂચ્યું નહીં અને વ્યક્તિપુજાને બદલે સમસ્ત દેશની પુજા માટે વંદે માતરમ્ અમરગીતની રચના કરી. બંગાળના આ વ્યક્તિ એટલે બંકિમચંદ્ર ચેટરજી જે તે સમયમાં પત્રકાર, કવિ, લેખક ઉપરાંત અંગ્રેજ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર, ડે.મેજિસ્ટ્રેટ હતા. આ ગીત આનંદમઠ નામની તેમની નવલકથામાં હતું જે 1882માં પ્રસિધ્ધ થઈ પરંતુ, ગીતની રચના તેમણે કારતક સુદ-9, રવિવાર તા. 7-11-1875માં રચના કર્યાનું મનાય છે અને આને આધારે આવતીકાલથી દેશભરમાં વંદે માતરમ્ ગીતના દોઢસો વર્ષ પૂરા થયાની ઉજવણી થશે.
આ ગીતની રચના કરનાર બંકિમચંદ્ર અને તેને ગુલામી કાળમાં ગાનારા,નારા લગાડનારા આજે પણ પ્રેરણારૂપ છે.1896માં કોંગ્રેસના 12 માં અધિવેશનમાં રવિન્દ્રનાથ ઠાકુરે આ ગીત પ્રથમવાર ગાયું હતું. ગીત મૂળ સંસ્કૃતમાં પરંતુ, બાંગ્લાલિપિનો ઉપયોગ કરીને લખાયેલું છે. આઝાદી પછી ભારત સરકારે તેને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો છે પરંતુ, તે આખા ગીતને નહીં. વંદે માતરમથી શરૂ કરીને માત્ર 8 પંક્તિના બે પદને સર્વસંમતિથી સ્વીકૃતિ મળી છે. બાકીના ચાર પદોની 23 જેટલી પંક્તિનો સમાવેશ કરાયો નથી પરંતુ, રાજકોટ મહાપાલિકા જેવા સ્થળે આજે પણ સામાન્ય સભાના આરંભ અને અંતે આ પૂરૂં ગીત વગાડાય છે.
વંદે માતરમ્ ગીતની વિશેષતા એ છે કે તેમાં ભારત દેશ પ્રતિ માતા તરીકે ભક્તિભાવ,પૂજ્યભાવ દર્શાવાયો છે અને ભારતીય સંસ્કૃતિમાં આ નવું નથી પરંતુ, હજારો વર્ષ પુરાની વાત છે. અથર્વવેદમાં તો સમગ્ર પૃથ્વીને જ માતા તરીકે સંબોધાઈ છે. આ ભાવના જ સ્વાર્થ માટે પ્રકૃતિનું , દેશની ધરતીનું કરવાનું, તેના જળ,હવા,ભૂમિને પ્રદુષિત કરવાનું વિચારવા દે નહીં.આ ગીત ગાવુ જેટલું સરળ છે એટલું જ તેનો ભાવાર્થ આત્મસાત કરીને વર્તવું મૂશ્કેલ છે.










