વડોદરાઃ
સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તેમની તપાસ કરતી ગોરવા પોલીસ દ્વારા નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આરોપી ડો.ચિરાગ બારોટના મોબાઇલની કોલ્સ ડીટેલ મેળવી તેના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.તો બીજીતરફ પોલીસની પ્રાથમિક તપાસમાં ડો.ચિરાગનો મોબાઇલ ફરિયાદ નોંધાતા જ બંધ થઇ ગયો હોવાની અને લાસ્ટ લોકેશન સલાટવાડા વિસ્તાર દર્શાવતું હોવાની માહિતી મળી છે.
આ ઉપરાંત ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયા દ્વારા પીડિતા જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને બદનામ કરતો ઇમેલ અને પત્ર મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં મેલની તપાસ માટે સાયબર સેલ તેમજ પત્ર ક્યાંથી પોસ્ટ થયો છે તેની તપાસ માટે પોસ્ટ વિભાગ પાસે લેખિતમાં માહિતી માંગવામાં આવી છે.
ગોરવા પોલીસની ટીમો દ્વારા આજે પણ જુદાજુદા સ્થળોએ શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ આરોપીનો કોઇ પત્તો મળ્યો નથી.










