![]()
બેવડી ઋતુને કારણે બાળદર્દીઓથી હોસ્પિટલ-ક્લિનિકો ઉભરાયા
બે વોર્ડમાં ૧૦૦થી વધુ દર્દી છતા નવો વોર્ડ ખોલવો પડયો ઃ તાવ-કફ અને ન્યુમોનિયાના કેસ સૌથી વધુ ઃ મેલેરિયા-ડેન્ગ્યુના બાળદર્દીઓ પણ દાખલ
ગાંધીનગર : ગાંધીનગરમાં બદલાતા વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને બાળકો
પર પડી રહી છે. હાલની અનિયમિત તુઓના કારણે શરદી, ખાંસી,
કફ, નિમોનિયા
ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ અને
ટાઇફોઇડના બાળદર્દીઓની સંખ્યા વધી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળ
દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે,
જેના કારણે હોસ્પિટલના વોર્ર્ડ ફુલ થઈ ગયા છે અને નવા વોર્ડ ખોલવાની નોબત આવી
છે. છેલ્લા બે મહિનામાં દાખલ થયેલા બાળ દર્દીઓમાંથી ૫૦ ટકા કેસ માત્ર સપ્ટેમ્બરના
પ્રથમ ૧૦ દિવસમાં નોંધાયા છે,
જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યા એટલી વધી
ગઈ છે કે બે જનરલ વોર્ડ ફુલ થઈ ગયા છે,
અને વધારાના બેડ ગોઠવવા પડયા છે. હોસ્પિટલમાં ૩૫ એનઆઇસીયુ, ૨૫ પીઆઇસીયુ અને
૧૦૦ કોમન બેડની સુવિધા હોવા છતાં,
આ વાયરલ રોગચાળાની સિઝનમાં તે ઓછા પડી રહ્યા છે. આ અંગે ગાંધીનગર સિવિલમાં
પીડીયાટ્રિક વિભાગના વડા ડો. ગીત ગુંજનને પુછતા તેમણે જણાવ્યું હતુ ંકે, ડોક્ટરો રાત-દિવસ
ખડેપગે રહીને ઓપીડી, ઇમરજન્સી
અને વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે,
પરંતુ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને નિમોનિયાના દર્દીઓની
સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,
જે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ સ્થિતિને પહોંચી વળવા
હોસ્પિટલે નવો વોર્ડ ખોલ્યો છે જ્યાં દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી
છે.
બદલાતા વાતાવરણને કારણે શરદી, ખાંસી,
કફ અને તાવની સાથે નિમોનિયાના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત, મેલેરિયા અને
ડેન્ગ્યુના છૂટાછવાયા કેસ પણ નોંધાયા છે,
જ્યારે હિપેટાઇટિસ અને ટાઇફોઇડના દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ
બધા રોગો ખાસ કરીને બાળકોને વધુ અસર કરી રહ્યા છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તબીબોના
જણાવ્યા મુજબ, વાતાવરણની
અનિશ્ચિતતા અને બેવડી-ત્રેવડી ઋતુના કારણે આ રોગોનો ફેલાવો વધ્યો છે. આ સ્થિતિને
નિયંત્રણમાં લેવા માટે લોકોને સ્વચ્છતા જાળવવા, માસ્ક પહેરવા અને બાળકોની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં
આવી રહી છે.
સિવિલમાં દસ દિવસમાં ૫૩૭ બાળદર્દી દાખલઃરોજની ૨૦૦થી વધુની ઓપીડી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રિક વોર્ડમાં બેડ ખૂટી
પડયા છે તેટલા બાળદર્દીઓ હાલ દાખલ છે. સામાન્યરીતે આ બેવડી ઋતુ હોય ત્યારે
બાળદર્દીઓની સંખ્યા વધુ રહેતી જ હોય છે. ત્યારે જુલાઇ મહિનામાં ૧,૦૬૧ બાળકોને દાખલ
કરવામાં આવ્યા હતા.તો ઓગસ્ટમાં આ સંખ્યા વધી હતી અને ૧,૩૨૬ દર્દીઓને
એનઆઇસીયુ, પીઆઇસીયુ
તથા બે કોમન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જેની સામે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ
દસ દિવસ દરમ્યાન જ ૫૦૦થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત
સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ઓપીડીમાં ત્રણ તપાસરૃમ હોવા છતા અહીં લાઇન રહે
છે અને દરરોજ લગભગ ૨૦૦થી વધુ બાળદર્દીઓની ઓપીડી રહે છે. આ સાથે ગાંધીનગરના
પીડીયાટ્રીશીયન તથા અન્ય બાળકોની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા
મળી રહ્યો છે.










