![]()
સોમનાથ સોસાયટી પાસે ખુલ્લી જગ્યા ફાળવાઈ
અગાઉ કોમ્પ્લેક્સમાં આગની ઘટના વખતે લારીના દબાણોના લીધે ફાયરની ટીમને વિલંબ થયો હતો
આણંદ: બોરસદ નગરપાલિકા દ્વારા ગાંધીગંજથી સોમનાથ સોસાયટી તરફના રસ્તા ઉપર શાકભાજીની લારીઓને કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. ત્યારે આજે પાલિકાએ ૭૦થી વધુ લારીઓને ત્વરિત હટાવી લેવા નોટિસો ફટકારી છે.
બોરસદ નગરપાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, ગામતળ વિસ્તારમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી-પાથરણાવાળા તથા ફેરિયાઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે. વાહનોની અવર જવરમાં ખલેલ પહોચે છે. તા.૧૮/૦૯/૨૦૨૫ના રોજ પુરુષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આગજનિનો બનાવ બનતા ગાંધીગંજની બહારના રસ્તા ઉપર શાકની લારી-પાથરણા તથા ફેરીયાઓને કારણે ફાયર ફાઈટરને સ્થળ પર પહોંચવામાં ખુબ જ અડચણ થઈ હતી.
આ સમસ્યાને કારણે રોજબરોજનો વાહનવ્યવહાર ખોરવાવા સાથે લોકો ખૂબ પરેશાન બન્યા છે. ત્યારે ગંજની બહાર, ગંજથી જનતા બજાર થઇ બસસ્ટેન્ડ સુધીનો રોડ, બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત, સુધીનો રોડ, બસ સ્ટેન્ડથી ફુવારા થઇ વાસદ ચોકડી સુધીનો રોડ, વાસદ ચોકડી વિસ્તાર, આણંદ ચોકડી વિસ્તારની લારીઓ આવતી કાલ શુક્રવારથી હટાવી સોમનાથ સોસાયટી પાસે આવેલા ડ્રેનેજ બોક્સની પાસે મૂકવા સૂચના આપી છે.










