![]()
– નેસવડ ચોકડથી સાવરકુંડલા હાઈવેને જોડતા માર્ગ પર કાયમી અકસ્માતના બનતા બનાવો
– પોલીસે દોડી જઈ કોંગી આગેવાનોને ડીટેઈન કર્યા, ગુણવત્તાયુક્ત કામ નહીં થાય ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપે શરૂ રખાશે
Mahuva News: મહુવાથી સાવરકુંડલાને જોડતા હાઈવે પરના બિસ્માર રોડને લઈ કોંગ્રેસ પક્ષ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને રસ્તા રોકો આંદોલન છેડતા પોલીસે દોડી જઈ કોંગી કાર્યકર-આગેવાનોને ડીટેઈન કર્યા હતા.
મહુવા-સાવરકુંડલા નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો રહે છે. પરંતુ નેસવડ ચોકડીથી સાવરકુંડલાને જોડતો માર્ગ અતિશય બિસ્માત હાલતમાં હોવાના કારણે નાના-મોટા અકસ્માતના બનાવો કાયમી બનતા રહે છે. આ માર્ગ રાજકોટ-જામનગર હાઈવે અને તાલુકાના અનેક ગામોને પણ જોડે છે. તેમ છતાં નપાણિયા તંત્ર દ્વારા બિસ્માર રોડનું સમારકામ કરવામાં આવતું ન હોય, આજે શુક્રવાર મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન છેડી આગેવાનો રસ્તા પર સૂઈ ગયા હતા અને ભાજપ સરકારના હાય.. હાય..ના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
કોંગી આગેવાનોએ સરકારની નીતિઓની આકરી ટીકા કરી ભ્રષ્ટાચારના કારણે પ્રજા મોતના મુખમાં ધકેલાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. મહુવા પોલીસે દોડી જઈ આંદોલન કરી રહેલા કોંગ્રેસ પક્ષના પ્રદેશ અગ્રણીઓ, કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યવાહીથી ખફા થયેલા કોંગ્રેસ આગેવાનોએ પોલીસ દમનથી તેઓ ડરશે નહીં, આ રસ્તાનું ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર સ્વરૂપ આપી આંદોલનને શરૂ રાખવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
પ્રાંત કચેરી સામે અનશન ઉપર બેસવા ચિમકી
મહુવા-સાવરકુંડલા હાઈવેના બિસ્માર માર્ગને કારણે વાહનચાલકોને પડતી હાલાકીને લઈ કોંગ્રેસે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. જો માંગ પૂરી નહીં થાય તો પ્રાંત કચેરી સામે મહુવા કોંગ્રેસના કાર્યકરો અનશન ઉપર બેસી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.










