![]()
ગાંધીનગર નજીક ચિલોડા-દહેગામ હાઇવે માર્ગ ઉપર
અકસ્માત સર્જીને કારમાં સવાર શખ્સો ફરાર ઃ કારમાંથી દારૃની
અડધી બોટલ પણ મળી આવી ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક ચિલોડા દહેગામ હાઇવે ઉપર ગઈકાલે રાત્રે
મગોડીના મુસાફરોને લઈ જઈ રહેલી રિક્ષાને પૂર ઝડપે આવી રહેલી કારે હડફેટે લેતા
તેમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને એક મહિલાનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું
હતું. કારમાં સવાર શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે કારમાંથી દારૃની અડધી બોટલ પણ મળી
આવી હતી. હાલ ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી
રહ્યા છે અને તેમાં પણ હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. આ
સ્થિતિમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર નજીક આવેલા ચિલોડા દહેગામ હાઇવે માર્ગ ઉપર ડભોડા
ત્રણ રસ્તા નજીક પૂર ઝડપે જઈ રહેલી કારે મુસાફરો ભરેલી રિક્ષાને હડફેટે લીધી હતી
અને તેના કારણે મહિલાનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મગોડી ગામમાં રહેતા પંકજજી પ્રહલાદજી ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે
તેઓ તેમના ગામના સાતેક જેટલા વ્યક્તિઓ સાથે ગામના લાલાજી ખોડાજીની રીક્ષા લઈને
બટાકાનું બિયારણ કાપવા લેકાવાડા ગામે ગયા હતા અને જ્યાંથી રાત્રે તેઓ રિક્ષામાં
પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચિલોડા દહેગામ હાઇવે ઉપર ડભોડા ત્રણ રસ્તા નજીક પૂર
ઝડપે આવી રહેલી કારે તેમની રિક્ષાને આગળના ભાગે ટક્કર મારી હતી અને તેના કારણે
અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ આ કાર રોડ સાઈડમાં પાર્ક કરેલા ડમ્પરને પણ અથડાઈ
હતી. જોકે કારમાં સવાર શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા જ્યારે રિક્ષામાં સવાર
પુનમબેન બળદેવજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જ્યારે
લીલાબેન કાંતિજી ઠાકોર, અર્જુન
કાંતિજી ઠાકોર, મહેન્દ્રભાઈ
નરસિંહભાઈ વાઘેલા, મુન્નીબેન
કાંતિજી ઠાકોર, જ્યોત્સનાબેન
મહેન્દ્રભાઈ વાઘેલાને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ કારમાં તપાસ કરતા દારૃની અડધી ભરેલી બોટલ પણ મળી
આવી હતી. હાલ આ ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા કાર
ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.










